અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહેલા ફિલ્મ અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ શત્રુઘ્ન સિંહાએ ગુજરાતમાં ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ઈશારામાં પણ અનેક સવાલો ઉઠાવ્યા. શત્રુઘ્ન સિંહાએ સંસદ ભવનમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી જીતનો રેકોર્ડ કોંગ્રેસનો હતો અને તે રેકોર્ડ તોડીને ભાજપ આગળ વધી ગઈ છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના મિત્રોને અભિનંદન આપું છું.”
‘જાણે આખું ભારત ગુજરાતમાં ઊતરી ગયું’
તેમને અભિનંદન આપવાની સાથે સાથે ભાજપની જીત પર સવાલો ઉઠાવતા તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આ ચૂંટણીમાં જે રીતે તમારું પ્રદર્શન બતાવવામાં આવ્યું છે અથવા AAPનું પ્રદર્શન થયું, અથવા જે રીતની હાલાત કોંગ્રેસની કરવામાં આવી છે, તેની પાછળ કોઈ પ્રકારનો કોઈ ખેલ-તમાશો તો નથી થયો ને. સિંહાએ કટાક્ષ કરતાં કહ્યું કે, “ભાજપે સમગ્ર દેશને ગુજરાતમાં ઉતારી દીધો હતો. વડાપ્રધાન પોતે સતત ત્યાં બેઠા હતા. આખી સરકાર, તમામ કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, તમામ સાંસદો અને પાર્ટી અધ્યક્ષ ત્યાં નીચે હતા અને એવું લાગી રહ્યું હતું, જાણે સમગ્ર ભારત જ ગુજરાતમાં ઉતરી આવ્યું હોય. આખી કેન્દ્ર સરકાર જ એક મહિના સુધી ત્યાં બેસી ગઈ હતી.”
‘ભાજપને માત્ર એક જ જગ્યા ગુજરાતમાં જીત મળી’
ભાજપને પશ્ચિમ બંગાળની યાદ અપાવતા શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે બંગાળમાં તો મમતાએ બધાના ‘ખેલા’ કરી દીધા હતા, પરંતુ ગુજરાતમાં કોઈ ખેલ-તમાશો થયો છે? તેની તપાસ તો એ લોકો કરશે, જે ત્યાં લડી રહ્યા હતા. જો કે, ચૂંટણીમાં વિપક્ષની તરફેણમાં 2-1થી વિજય થયો હોવાનું જણાવતા સિંહાએ એમ પણ કહ્યું કે ભાજપને માત્ર એક જગ્યા ગુજરાતમાં જીત મળી છે, જ્યારે વિપક્ષે બે (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAP અને હિમાચલમાં કોંગ્રેસ) જીત મેળવી છે. આ સાથે તેમણે વિપક્ષી મતોના વિભાજન પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.