અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીની ઉપસ્થિતીમાં જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લા સંગઠનની સમીક્ષા બેઠક જામનગર ખાતે યોજાઈ હતી.
જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લા કોંગ્રેસ સંગઠનના પદાધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીએ જણાવ્યું હતું કે, શહેર-જીલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારીનું વિશેષ મહત્વ છે. પક્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે નિરાશા ખંખેરીને આગળ વધવાનું છે. પક્ષના સંગઠનને વિસ્તૃત બનાવીને જવાબદારીની વહેંચણી કરવી પડશે. જીલ્લા-તાલુકા વચ્ચે સંગઠનમાં તાલમેલ જરૂરી છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલજીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી 4000 કિ.મી. જેટલી પદયાત્રા કરીને ઐતિહાસીક રેકર્ડ બનાવ્યો છે. આપ સૌ શહેર-જીલ્લાના સંગઠનના વડા તરીકે સ્થાનિક મુદ્દાને લઈને જનસંપર્ક અભિયાનને પદયાત્રાના માધ્યમથી વેગવંતુ બનાવશો તો સફળતા નિશ્ચીત મળશે. પક્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કરનારને મહત્વ મળશે અને જે લોકો સંગઠનમાં જવાબદારી હોવા છતાં પક્ષના કાર્યક્રમ માટે સમય આપી શકતા નથી અથવા તો આપવા માંગતા નથી તેઓને જવાબદારીમાંથી મુક્ત કરીને નવા લોકોને તક અપાશે. જવાબદારી સાથે જવાબદેહી પણ નક્કી કરાશે.
જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ સાથેની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંગઠનની સમીક્ષા બેઠકો સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહી છે. પક્ષના વરિષ્ઠ આગેવાનોને વ્યક્તિગત મળી કોંગ્રેસ પક્ષના કાર્યકરોને માર્ગદર્શન આપવું, રચનાત્મક વિરોધ પક્ષની યોગ્ય ભૂમિકા કોંગ્રેસના કાર્યકર્તાને માર્ગદર્શન અને નવા કાર્યકર્તાઓને જોડવાની કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસ શાસનમાં ગુજરાતના સંતુલિત વિકાસ માટે જામનગરને અગાઉ ખાસ લાભો આપી રિલાયંસ અને એસ્સાર જેવી મોટી રીફાઈનરી-ઉદ્યોગો સ્થપાય તે માટે વ્યવસ્થા આપવામાં આવી હતી, સાથે ખેડૂતોનું હિત સાચવવાની વ્યવસ્થાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જેના લીધે કોંગ્રેસ શાસનમાં સ્થપાયેલ મોટા ઉદ્યોગો હોય કે નાના ઉદ્યોગો હોય કે પછી જી.આઈ.ડી.સી.ના માધ્યમથી અનેક વિવિધ ઉદ્યોગોની સ્થાપના થઈ. હજારો નાના-મોટા ધંધા-રોજગાર કરનારાઓને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું જેના લીધે ગુજરાતના હજારો યુવાનો, લાખો પરિવારો રોજગાર મેળવી રહ્યાં છે. જે કોંગ્રેસ નેતૃત્વની દિર્ઘદ્રષ્ટીનું જીવંત ઉદાહરણ છે.
ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપી સત્તા મેળવનાર મોદી સરકારે શાસનના 10 વર્ષમાં ખેડૂતોની આવક બમણી ના કરી કે ના આવક વધી પણ જુદા જુદા ટેક્સ અને જી.એસ.ટી.ના નામે ખેડૂતો પાસેથી જે રીતે વસુલાત કરવામાં આવી રહી છે તેથી ખેડૂતો-ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે અને આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના લીધે ખેડૂતો સતત આર્થિક પરેશાનીમાં ધકેલાઈ રહ્યાં છે. જે ખેડૂતો મગફળી પકવી રહ્યા છે તે મગફળીનો ભાવ કોંગ્રેસ શાસનમાં રૂ. 1300 થી 1400 રૂ. હતા. તે ભાજપ શાસનમાં 900 થી 1000 મળી રહ્યા છે. બીજીબાજુ તેલના ડબ્બાના 2800 થી 3000 પહોંચી ગયા છે. ગુજરાતના દરિયાકાંઠેના માછીમારો મુશ્કેલીમાં છે કારણ કે તેમને જેલમાંથી છોડાવવા માટે સરકારે કોઈ પ્રયાસ કર્યો નહીં. માછીમારોની બોટ પાકિસ્તાન લઈ જાય તો કોંગ્રેસ શાસનમાં માછીમારોને લોન ની સગવડતા અપાઈ હતી અત્યારે સરકાર દુર્લક્ષ સેવે છે. ભાજપ શાસનમાં પેપર ફુટવા અને બ્રીજ તુટવા સામાન્ય બની ગયા છે. સામાન્ય લોકોના મકાનો પર બુલડોઝર ફરે અને પૈસાવાળા લોકો માટે બધી છૂટ એ ક્યાંનો ન્યાય ? ખ્યાતી હોસ્પિટલ કૌભાંડ, સાબરકાંઠામાં કરોડો રકમનું ફુલેકું ફેરવનારાના વરઘોડા નીકળતા નથી પણ સામાન્ય ઘરની ગુજરાતની દીકરીના અમરેલીમાં વરઘોડા નિકળે અને પટ્ટા થી બેરહમી પૂર્વક મારવામાં આવે આ છે ભાજપા સરકારની અન્યાયકારી નિતિ…! સંગઠનમાં સોંપાયેલ વિવિધ જવાબદારી માટે સમયમર્યાદા નક્કી કરી છે. સ્થાનિક પ્રશ્નો સાથે વધુમાં વધુ જનસંપર્ક અભિયાન અસરકારક બનાવવા માટે પણ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રી શ્રી ભૂપેન્દ્ર મારાવીજી, પ્રદેશ પ્રભારી ડૉ. હેમાંગ વસાવડા, શ્રી જશવંતસિંહ ભટ્ટી, પૂર્વ સાંસદશ્રી વિક્રમ માડમ, ડૉ. દિનેશ પરમાર, શ્રી ભીખુભાઈ વારોતરીયા, શ્રી મોહમ્મદ બલોચ, શ્રી સારાબેન મકવાણા, સેવાદળના કા.અધ્યક્ષ શ્રી પ્રગતિ આહિર, પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડૉ. નિદત બારોટ, કિશાન કોંગ્રેસ અધ્યક્ષશ્રી પાલ આંબલીયા, અસંગઠિત કામદાર સંગઠન અધ્યક્ષશ્રી ભરતભાઈ સોલંકી, પંચાયતી રાજ સંગઠન અધ્યક્ષશ્રી કાંતિભાઈ બાવરવા, પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ મુંછડીયા, શ્રી જીવણભાઈ કુંભારવાડીયા અને જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી મનોજભાઈ કથીરીયા, જામનગર કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ નેતાશ્રી ધવલ નંદા, દેવભૂમિ દ્વારકા જીલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી યાસીન ગજ્જર, પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી વિપુલ ચંદારાણા, પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી રાજેશભાઈ ઓડેદરા સહિતના પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને સંગઠનલક્ષી સ્થાનિક મુદ્દાના સુચનો કર્યા હતા.
