(જી.એન.એસ) તા. 10
સુરત,
સુરતના કપોદ્રામાં અનભ જ્વેલર્સમાં પીધુ કુલરનું પાણી.. થઈ ઝેરી અસર. સુરતના અનભ જ્વેલર્સમાં પોલીસ તપાસ તેજ થઇ છે. લગભગ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની સેલફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવી દીધી હોવાની સામે આવ્યું છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં 6 દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારમાં મીલેનીયમ કોમ્પ્લેક્સમાં અનભ જેમ્સ નામનું હીરાનું કારખાનું આવેલું છે, જ્યાં પાણી પીધા બાદ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. જેથી પાણીના કુલરમાં તપાસ કરતા તેમાં સેલફોસની પડીકી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ BNS 109 (1)ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી. કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે. જેથી પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.
તેમજ આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ‘શંકાસ્પદ જણાયેલા ચારથી પાંચ જેટલા કારીગરોની કાપોદ્રા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે જ ટીમો બનાવીને વધુ તપાસ ચાલી રહી છે. અનભ જેમ્સના કારીગરોના લિસ્ટ પ્રમાણે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ અનભ જેમ્સની અંદર આવેલા ડીલર અને સબ ડીલરની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેના માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે. અત્યાર સુધીની પૂછપરછ હજુ કંઈ નક્કર વાત સામે આવી નથી. અત્યાર સુધીમાં 50 જેટલા નિવેદન પણ લેવામાં આવ્યા છે.