મહારાષ્ટ્રમાં દિગ્ગજોની રાજકીય લડાઈમાં યુવાનોની પણ એન્ટ્રી થઈ રહી છે. હવે ભારતીય જનતા પાર્ટીએ આદિત્ય ઠાકરેના જવાબમાં યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. પાર્ટી આદિત્યના વિસ્તાર વર્લીમાં યુવા મોરચાની ઓફિસનું ઉદ્ઘાટન કરવા જઈ રહી છે. શુક્રવારે સૂર્યા મુંબઈમાં આયોજિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.
ભાજપના ‘યુવા’ કાર્યાલયનું ઉદ્ઘાટન શુક્રવારે સવારે થયું. પાર્ટીએ આ કાર્યક્રમનું નામ ‘મુંબઈ તેજસ્વી સ્વાગત’ રાખ્યું છે. બપોર બાદ સૂર્યા જિલ્લા, ઝોન અને વોર્ડ કક્ષાએ યુવા મોરચાના કાર્યકરોને સંબોધિત કરશે. આ આયોજન દાદર પશ્ચિમમાં શિવાજી પાર્કની સામે યોજાશે.
કોણ છે આ બંને યુવા નેતાઓ
31 વર્ષીય સૂર્યા બેંગલુરુ દક્ષિણ લોકસભા મતવિસ્તારના સાંસદ છે. ખાસ વાત એ છે કે તેઓ ભાજપના સૌથી યુવા સાંસદ છે. વર્ષ 2020માં તેમને યુવા મોરચાના વડા બનાવવામાં આવ્યા હતા. જયારે બીજી તરફ 32 વર્ષીય ઠાકરેએ પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત 2019 માં વર્લીથી કરી હતી. તેઓ ઠાકરે પરિવારના પહેલા વ્યક્તિ હતા જે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
ભાજપની યોજના
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ છેલ્લા કેટલાક સમયથી વર્લી, દાદર અને લોઅર પરેલ વિસ્તારમાં રાજકીય જમીન શોધી રહી છે. આ દરમિયાન પાર્ટીનું ખાસ ધ્યાન વર્લી વિસ્તાર પર છે. ઓગસ્ટમાં ભાજપે જંબૂરી મેદાનમાં દહીં હાંડી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઓક્ટોબરમાં દાદરના શિવાજી પાર્કમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ભાજપે નવરાત્રી દરમિયાન ચિંચપોકલીમાં મરાઠી દાંડિયા ઉત્સવનું પણ આયોજન કર્યું હતું.