ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એટલે કે હાલમાં પદયાત્રા પર નીકળ્યા છે. જનતા દળ યુનાઈટેડ (JDU)માં જોડાઈને પોતાની રાજકીય સફર શરૂ કરનાર પીકે થોડા જ દિવસોમાં પાર્ટીથી દૂર થઈ ગયા હતા. બાદમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મેરેથોન બેઠકો ચાલી પરંતુ વાત બની નહીં અને પીકેએ પોતે સામે આવીને જાહેરાત કરી કે તેઓ દેશની સૌથી જૂની પાર્ટીમાં જોડાશે નહીં.
પીકેએ રાજકીય સક્રિયતાના સંકેતો આપ્યા હતા અને ગાંધી જયંતિના દિવસે 2 ઓક્ટોબરે પદયાત્રા પર નીકળ્યા હતા. પીકેએ એમ પણ કહ્યું હતું કે 3500 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ થયા બાદ તેઓ લોકોના મૂડને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષની રચના અંગે નિર્ણય લેશે. હવે પદયાત્રાને એક મહિનો પૂરો થવા પર પીકેએ કહ્યું છે કે તેઓ 11 કે 12 નવેમ્બરે જ રાજકીય પક્ષ બનાવવા અંગે નિર્ણય લેશે.
બિહારમાં 2 ઓક્ટોબરે શરુ થયેલી જન સુરાજ અભિયાનના બેનર હેઠળની પીકેની પદયાત્રાના 31 દિવસ પૂર્ણ થયા છે. 31મા દિવસે પ્રવેશતા જ પીકે 300 કિમી પદયાત્રા પૂર્ણ કરી હતી. ચૂંટણી રણનીતિકાર પીકેએ પશ્ચિમ ચંપારણના લૌરિયામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જન સુરાજ અભિયાનના જિલ્લા સંમેલનની બેઠક બાદ 11 કે 12 નવેમ્બરે પોતાનો રાજકીય પક્ષ બનાવવા અંગે નિર્ણય લેશે.
પીકેએ જણાવ્યું હતું કે જિલ્લા સંમેલનના તમામ સહભાગીઓ રાજકીય પક્ષ બનાવવો કે નહીં તે નક્કી કરવા લોકતાંત્રિક રીતે મતદાન કરશે. પોતાની પદયાત્રા શરૂ કરનાર પીકેએ કહ્યું છે કે તેઓ નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ, બંનેની સાથે-સાથે તેમજ ભાજપના પણ વિરોધમાં છે. તેમની પદયાત્રા દરમિયાન પીકે મતદારોને નીતીશ, લાલુ તેમજ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત ન આપવાનું આહ્વાન કરી રહ્યાં છે.
પીકે કરી રહ્યા છે નીતીશ પર સતત પ્રહારો
રસપ્રદ વાત એ છે કે, પીકે તેમની પદયાત્રા દરમિયાન નીતીશ કુમાર પર પ્રહાર કરતા જોવા મળ્યા છે. પીકેએ સીએમ નીતીશની તુલના લોલક સાથે કરી અને તેમના પર કટાક્ષ કર્યો કે તેઓ વારંવાર પક્ષો બદલતા રહે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે એવી સંભાવના છે કે નીતીશ ફરી એક વખત પક્ષ બદલી શકે છે અને ભાજપ સાથે ફરી ગઠબંધન કરી શકે છે.
પીકેએ એમ પણ કહ્યું હતું કે નીતીશ કુમાર કોઈપણ ભોગે મુખ્યમંત્રીની ખુરશી સાથે વળગી રહેવા માંગે છે. તેના માટે તેઓએ ગમે તેટલી બાંધછોડ કરવી પડે. પીકેએ લાલુ યાદવની પાર્ટી આરજેડી અને કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું.