મુંબઈ મહાનગરપાલિકાએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને દશેરાની મહાસભા માટે દાદરના શિવાજી પાર્ક ખાતેની પરવાનગી નકારી દીધી છે. પોતાના પત્રમાં મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે દશેરાના દિવસે શિવાજી પાર્ક ખાતે સાર્વજનિક સભા માટે શિવસેનાના બે જૂથ તરફથી અરજી મળી હતી. એક અરજી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ તો બીજી તરફ એકનાથ શિંદેની શિવસેનાએ પણ શિવાજી પાર્ક ખાતે સભા આયોજીત કરવા અરજી કરી હતી. આ બંને અરજીઓને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે પાઠવવામાં આવી હતી. હવે આ રેલી સંદર્ભે સ્થાનિક પોલીસ સ્ટેશને પોતાનો અભિપ્રાય આપ્યો છે કે શિવસેનાના કોઈપણ જૂથને દશેરા ની રેલી માટે પરવાનગી આપ્યા બાદ કાયદો અને વ્યવસ્થા ખરાબ થઈ શકે તેમ છે. આથી મુંબઈ મહાનગરપાલિકાએ દશેરા માટે કોઈપણ પોલિટિકલ પાર્ટી ને પરવાનગી આપવાની જરૂર નથી. સ્થાનિક પોલીસ સ્ટેશનના આ અભિપ્રાય પછી મુંબઈ મહાનગરપાલિકાના સ્થાનિક વોર્ડ એ નિર્ણય કર્યો છે કે દશેરાને દિવસે શિવાજી પાર્ક ના મેદાન પર રાજનૈતિક કાર્યક્રમ માટે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ને પરવાનગી નહીં આપવામાં આવે. આ પરવાનગી નકારી દીધા પછી ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ શિવાજી પાર્ક ખાતે રાજકીય સભા માટે હવે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. ગત ૨૬ વર્ષથી મુંબઈ મહાનગરપાલિકા માં શિવસેના નું શાસન છે. જોકે હવે મુંબઈ મહાનગર પાલિકા પર પ્રશાસનિક અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે અને તમામ નગર સેવકોના પદ આંચકી લેવામાં આવ્યા છે. તેમજ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ક્યારે અને કઈ રીતે થશે તે સંદર્ભે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ પરિસ્થિતિમાં જે મહાનગરપાલિકા ઉદ્ધવ ઠાકરેના હાથમાં હતી તે મહાનગરપાલિકાએ જ ઉદ્ધવ ઠાકરેને ઝટકો આપી દીધો છે.