ભારતીય વિચાર મંચ ભાવનગર દ્વારા ભારત સંવાદ અંતર્ગત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે ભાવનગરના પૂર્વ-સાંસદ રાજેન્દ્રસિંહ રાણાના વક્તવ્ય સાથે ભારત સંવાદનું આયોજન થયું. જેમાં રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા સેનાની અને ક્રાંતિકારી એ બે વ્યક્તિઓના ભિન્ન મિજાજ માત્ર છે.પરંતુ સ્વાધીન ભારતની કરુણા એ છે કે આપણને ક્રાંતિકારીઓ વિષે પૂરી માહિતી આપવામાં જ ન આવી. આપણને ઠસાવી દેવામાં આવ્યું કે આપણાં ક્રાંતિકારીઓ અસંગઠીત, દિશાહિન, સ્વછંદી અને વ્યક્તિગત રાગ-દ્વેષથી ભરેલા હતા. જેમના પ્રયાસોથી ભારત ક્યારે પણ સ્વાધીન થઈ શકે એમ નોહતું. પરંતુ સાચા અને આપણાંથી દૂર રાખેલ ઇતિહાસને વાંચીએ તો વાસ્તવિકતા કઈક અલગ દેખાઈ આવે. સ્વાધીનતાના સંગ્રામમાં વિદેશમાં વસતા ભારતીયો દ્વારા થયેલા પ્રયાસને ઇતિહાસમાં સ્થાન ન મળે એના માટે થયેલા પ્રયાસને ખોટો સિદ્ધ કરતાં રાજેન્દ્રસિંહ રાણા એ ઉમેર્યું હતું કે ભારતમાં રહેતા ક્રાંતિકારીઓને બળ પૂરું પડતી આખી વ્યવસ્થા ભારતની બહાર એકત્ર થઈ ગઈ હતી. કોમ્યુનિસ્ટ ઇતિહાસકારોને જાણે ભારત અને ભારતના આ વીર સપૂતો માટે એટલો બધો દ્વેષ હતો કે એમણે આ ક્રાંતિકારીઓ વિષે લખવાનું તો દૂર, એમનો નમોલ્લેખ પણ ટાળ્યો. ભારતની બહાર ચાલતી ચળવળકારીઓએ અન્ય દેશો સાથે રાજદ્વારી સંબંધો ઊભા કરવા, ભારત માટે વિદેશમાં સકારાત્મક અભિપ્રાયો બનાવવા અને ભારતના ક્રાંતિકારીઓને મદદરૂપ થવા અમને સંસાધનો પૂરા પાડ્યા હતા. ભારતના ક્રાંતિકારીઓને સ્કોલરશીપ આપી વિદેશમાં ભણાવ્યા, ક્રાંતિ માટે જરૂરી આર્થિક અને અન્ય મદદ કરી અને ભારતને સ્વતંત્ર કરાવવા માટે બહાર સૈન્ય નિર્માણ પણ કર્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિચાર મંચના ડૉ. હિરેનભાઈ ચાવડાએ કર્યું હતું.