સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં શાળા નં. ૧૬ની સામે આવેલ નમકીનની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ દુકાનની ઉપરના પતરા તોડી દુકાનમાં પ્રવેશ કરી કાઉન્ટરમાં રાખેલા વેપારના રૂ. ૧,૩૫,૫૦૦ની રોકડ રકમની ચોરી કરી નાશી છુટયા હતા. જે અંગેની જાણ સવારે દુકાને આવેલા માલિકને થતાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને ધ્યાને લઇ જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સૂચના થી એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરી કરનાર આરોપીને ચોરીની રકમ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.
…આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાં રહેતા ૨૮ વર્ષીય ઈમ્તીયાઝભાઈ આદમભાઈ સુમરાની શાળા નં. ૧૬ સામે દિલખુશ નમકીન નામની ફરસાણની દુકાનમાં તસ્કરો દ્વારા દુકાન ઉપરનું પતરૂ ખોલી ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે તપાસ કરતા વેપારીના રાખેલા રોકડા રૂપિયા ૧.૩૫ લાખ ચોરી થયા હોવાનું જણાઇ આવતાં ભોગ બનાર ઈમ્તીયાઝભાઈએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને ધ્યાને લઈને જીલ્લા પોલીસ વડાની સૂચના થી પી.આઇ. યુ. એલ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં સ્ટાફના ધનરાજસિંહ વાઘેલા અને ભાવેશભાઈ ઝાપડિયા ને મળેલ બાતમીના આધારે ટીબી હોસ્પિટલ પાસે નિર્મળનગર સોસાયટી પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન એક યુવક શંકાસ્પદ હાલતમાં સ્કુલ બેગ સાથે પસાર થતા તેને રોકી પુરછપરછ કરતા પોતાનું નામ શક્તિ ઉર્ફે લાલો સાગરભાઇ થરેસા ઉ.વ.૧૯, રહે.સુ.નગર વિહત પાર્ક અંબાજીના મંદીર પાછળ વાળો હોવાનુ જણાવ્યું હતું અને સ્કુલ બેગમાં જોતા અલગ અલગ ચલણી નોટો મળી ફૂલ રૂ. ૧.૩૫ લાખ રોકડ રકમ મળી આવી હતી જેની વધુ પુરછપરછ કરતા લક્ષ્મીપરા વિસ્તારમાં આવેલ દિલખુશ નમકીન નામની ફરસાણની દુકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે આરોપી સહિત રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.