જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ શેહલા રશીદની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ શેહલા રશીદ સામે કાર્યવાહીને મંજૂરી આપી દીધી છે. સેના વિરૂદ્ધ કરેલા કેટલાક ટ્વિટના મામલે તેમના વિરુદ્ધ આ કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
શેહલા રાશિદે ટ્વિટ કરતા વિવાદ સર્જાયો
નોંધનીય છે કે, શેહલા રશિદે ઓગસ્ટ 2019માં બે ટ્વિટ કર્યા હતા, જેના કારણે એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવની ફરિયાદ પર સપ્ટેમ્બર, 2019માં તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ મામલે કેસ ચલાવવાનો પ્રસ્તાવ એલજીને મોકલવામાં આવ્યો હતો, જેને તેમણે સ્વીકારી લીધો છે. આપને જણાવી દઈએ કે, 18 ઓગસ્ટ, 2019ના રોજ શેહલાએ પોતાના ટ્વિટમાં એવો દાવો કર્યો હતો કે, ‘સશસ્ત્ર દળો રાત્રે લોકોના ઘરમાં ઘૂસીને છોકરાઓને ઉપાડી રહ્યા છે, ઘરોમાં તોડફોડ કરી રહ્યા છે, જાણીજોઈને જમીન પર રાશન ફેંકી રહ્યા છે, ચોખામાં તેલ ભેળવી રહ્યા છે અને બીજું ઘણું બધું. રાત્રે 12 વાગ્યે કરી રહ્યા છે.’
ટ્વિટ બાદ શેહલા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ
જ્યારે બીજા ટ્વિટમાં લખ્યું હતું કે, ચાર લોકોને શોપિયાંમાં આર્મી કેમ્પમાં બોલાવવામાં આવ્યા અને પૂછપરછના નામે ટોર્ચર કરવામાં આવ્યા. તેમની નજીક એક માઈક મૂકવામાં આવ્યું હતું, જેથી તેમની ચીસો સમગ્ર વિસ્તારમાં સંભળાય અને લોકો ગભરાઈ જાય, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.’ શેહલાના આ ટ્વિટ્સ બાદ વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે આઈપીસીની કલમ 153એ હેઠળ એફઆઈઆર નોંધી છે. હવે એલજીએ સીઆરપીસી 1973ની સંબંધિત કલમ 196 હેઠળ કાર્યવાહી કરવાની પરવાનગી આપી છે.
તપાસ એજન્સીએ કહ્યું- સેના વિરુદ્ધ ટ્વિટ ગંભીર મુદ્દો
આ અંગે સંબંધિત તપાસ એજન્સીએ તેની ટિપ્પણીમાં કહ્યું કે, કેસની પ્રકૃતિ, સ્થાન અને સેના વિરુદ્ધ ખોટા આરોપોનું સ્તર તેને ગંભીર મુદ્દો બનાવે છે. દરેક ટ્વીટ પર ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ નહીં, પરંતુ આ મામલામાં આવી ટ્વીટ પર શેહલા રશિદ સામે કાર્યવાહી કરવાની ફરજ પડી છે.