જાદુ-ટોણાં એક એવો વિષય છે જેનું નામ સાંભળતા જ લોકોની અલગ જ છબી મનમાં આવે છે. પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે આ ટેક્નોલોજીના યુગમાં પણ દુનિયાના 100 કરોડથી વધુ લોકો જાદુ-ટોણાંમાં વિશ્વાસ કરે છે. પ્યૂ રિસર્ચ દ્વારા 95 દેશમાં કરાયેલા સરવેમાં આ ખુલાસો થયો છે. લગભગ 40%એ અંધવિશ્વાસ ઉપરાંત ડાકણ, ચૂડેલ પર વિશ્વાસ દર્શાવ્યો છે.
તેમાં લગભગ દરેક દેશના નાગરિક છે. રસપ્રદ વાત એ છે કે શિક્ષણના સ્તર તેમજ આર્થિક સુરક્ષાની સાથે અંધવિશ્વાસમાં ભરોસાના સ્તરમાં દેશોની વચ્ચે અંતર જોવા મળ્યું હતું. એક તરફ સ્વીડનમાં 9% કરતાં પણ ઓછા લોકોને જાદુ-ટોણાંમાં ભરોસો છે. બીજી તરફ ટ્યૂનિશિયામાં 90%થી વધુને તેના પર ભરોસો છે. રિસર્ચમાં અંધવિશ્વાસ અને ડાકણ પર વિશ્વાસનો સીધો સંબંધ સામાજિક સુરક્ષા, શિક્ષણ, સાંસ્કૃતિક માન્યતા, બંધારણીય સંસ્થા સાથે જોડાયેલો છે.
2008થી 2017ની વચ્ચેના આ સરવેમાં લોકોને આ અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા. અમેરિકન યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી તેમજ મુખ્ય સંશોધક બોરિસ ગેર્શમેન માને છે કે આ વિશ્વાસ હજુ પણ અનેક સ્થળે સંઘર્ષનું કારણ બને છે. જોકે, ચીન અને ભારતના વધુ ડેટાની જરૂર છે. સ્વિત્ઝર્લેન્ડ, સ્કૉટલેન્ડ અને નોર્વેની સંસદમાં ડાકણ તેમજ ચૂડેલથી પરેશાન હોવાના તેમજ તેનાથી છુટકારા માટેના પણ પ્રસ્તાવ આવી ચુક્યા છે. સ્પેનના કેટાલોનિયામાં ગત વર્ષે સંસદમાં એક પ્રસ્તાવ પસાર થયો. હતો. તેમાં ડાકણ અથવા ચૂડેલ ગણાવીને માર ખાનાર મહિલાઓને તેના દોષથી મુક્ત કરાઈ હતી. સંસદે આ હત્યાઓ માટે સાર્વજનિક માફી માંગી હતી.