ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થતો જઈ રહ્યો છે અને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુચરાજીથી ગૌરવ યાત્રાનો પ્રારંભ જે.પી નડ્ડાએ કરાવ્યો હતો. આ ગૌરવ યાત્રાના બીજા રૂટ દ્વારકાથી પોરબંદર જશે જેને લઈને જે.પી નડ્ડા આજે બેટ દ્વારકા પહોંચ્યા હતા. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ સાથે બેટ દ્વારકામાં પહોંચ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે વેઢે ગણાય તેટલો સમય બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ગૌરવ યાત્રા કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ગુજરાતમાં છેલ્લા તબક્કાનો પ્રચાર શરૂ થયો હોય તેમ દરેક રાજકીય પક્ષ પુરજોશમાં પ્રચાર કરી રહી છે. જે.પી નડ્ડાએ બેટ દ્વારકા આવીને જ્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી તેનું નિરીક્ષણ કર્યું હતું અને ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. આ આગાઉ પીએમ મોદી પણ ભુપેન્દ્ર પટેલની આ કામગીરીના વખાણ કર્યા હતા.
નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રચારની ગતિ તેજ કરી દીધી છે. આજે જે.પી નડ્ડાએ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો જયારે આવતી કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૌરવ યાત્રાના ત્રીજા રૂટનો પ્રારંભ કરાવશે. આ અગાઉ પહેલા પણ ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી જેની અસર ચૂંટણીના પરિણામ પર થઇ હતી.