આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આજે દરેક વ્યક્તિ અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિથી પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી પાર્ટીના ઈમાનદાર લોકો જેઓ ગુજરાત માટે કંઈ કરવા માંગે છે તેઓ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું પસંદ કરી રહ્યા છે. આજે ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીથી ત્રાસી ગયેલા 1500 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
જયસિંહ રાજપુત જે ભાજપા ભાષા સેલના સીટી યુવા કન્વીનર છે, હેમન્ત પાટીલ જે કોંગ્રેસના કાર્યકર્તા છે અને સુનિલ યાદવ જે સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા છે. આમ ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાંથી ઉધના વિધાનસભા વિસ્તારમાંથી 1200થી 1500 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાના હસ્તે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આાદમી પાર્ટીમાં જોડાયા છે. તેવો આપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
સુરતના ઉધના વિસ્તારમાંથી ભાજપમાં છેલ્લા 9 વર્ષથી કાર્ય કરી રહેલા જયસિંહ રાજપુત તેમના 1100 કાર્યકરો સાથે ભાજપનો કેસરિયો છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોવાનો પણ આપે દાવો કર્યો છે. જયસિંહ રાજપુતે જણાવ્યું છે કે, છેલ્લા એકાદ દાયકા જેટલો સમય ભાજપમાં વિતાવવા છતાં લોકોના જોઈએ તેટલા કામ થતા નહોતા અને ભ્રષ્ટાચાર પણ ખૂબ થઈ રહ્યો હતો તેમ તેમણે તેમના નિવેદનમાં કહ્યું હતું. લોકોને ભાજપ વાતે વાતે છેતરી રહ્યું હોવાનું લાગતા ભાજપ છોડીને ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાયો છું તેમ તેમણે કહ્યું હતું.
મનોજ સોરઠિયાએ આગળ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી અગાઉ લોકોનું આમ આદમીને સમર્થન મળી રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં અરવિંદ કેજરીવાલની વિકાસની રાજનીતિ અને ઈમાનદારની છાપ પર વિશ્વાસ મૂકી રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારો પક્ષ ખૂબ મજબૂતીથી આગળ વધશે અને ભાજપ સામે સીધી ટક્કર આપશે.