ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત પાસના નેતાઓ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઇ શકે છે. અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે સુરત પાસના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે. અલ્પેશ કથિરીયા સુરતના વરાછા વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ કથિરીયા નોન પોલિટિકલ ચહેરા તરીકે ઉભર્યો હતો. સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં અલ્પેશ કથિરીયાએ આમ આદમી પાર્ટીને સપોર્ટ કર્યો હતો અને સફળતા અપાવી હતી. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી હતી અને વિપક્ષી પાર્ટી બની હતી.
અલ્પેશ કથિરીયાએ ભાજપના કોર્પોરેટર રહી ચુકેલા કાવ્યા પટેલ સાથે સગાઇ કરી હતી. અલ્પેશ કથિરીયા સામે રાજદ્રોહ સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે અને તે જેલવાસ પણ ભોગવી ચુક્યો છે.
પાટીદાર અનામત આંદોલન સમિતીનો મુખ્ય ચહેરો
અલ્પેશ કથિરીયા પાટીદાર અનામત આંદોલન સમિતીનો મુખ્ય ચહેરો રહી ચુક્યો છે. અલ્પેશ કથિરીયા, હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલીયા, નિખિલ સવાણી જેવા યુવા ચહેરા પાટીદાર સમાજનો ચહેરો છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની આ વર્ષના અંતે ચૂંટણી યોજાવાની છે.