કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ કેસી વેણુગોપાલે અધ્યક્ષ પદની ચૂંટણી વિશે કહ્યું કે મને ગર્વ છે કે કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે, જે લોકતાંત્રિક રીતે આ અધ્યક્ષ પદની ચૂંટણી કરી રહી છે. વેણુગોપાલે જણાવ્યું કે અધ્યક્ષ પદની ચૂંટણી માટે નામાંકન આજથી શરૂ થઈ ગયું છે. ચોક્કસ આનાથી કોંગ્રેસ પાર્ટી મજબૂત થશે. 19 ઓક્ટોબરે કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષની વરણી થશે. જે બાદ સમગ્ર કોંગ્રેસ પાર્ટી રેલી કરશે. અધ્યક્ષ પદ માટે જે કોઈ ચૂંટણી લડવા માંગે છે તે ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે.
બીજી તરફ અશોક ગેહલોત વિશે પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે જોઈએ કે કોણ-કોણ ચૂંટણી લડે છે. મને ખબર નથી કે ચૂંટણી માટે કોણ ઉમેદવારી નોંધાવી રહ્યું છે. બીજી તરફ વેણુગોપાલે રાહુલ ગાંધી વિશે કહ્યું કે રાહુલ ગાંધી પ્રત્યે લોકો અને કાર્યકરોમાં ઉત્સાહ છે, તે તમે જોઈ શકો છો. તેઓ કોંગ્રેસ પાર્ટીના સર્વોચ્ચ નેતા અને માસ લીડર છે.
રાહુલ ગાંધીની વિચારધારા મજબૂત: વેણુગોપાલ
કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીને પ્રેમ કરે છે કારણ કે તેમની વિચારધારા ખૂબ જ મજબૂત છે અને તેમનો અભિગમ ખૂબ જ નરમ છે. એનો મતલબ એ નથી કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનવા જોઈએ, એ તેમણે જ નક્કી કરવું જોઈએ. વેણુગોપાલે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ ભારત જોડો યાત્રા પર હુમલો કરી રહી છે જે યાત્રાની સફળતાનો સ્પષ્ટ સંકેત છે.
ભારત જોડો યાત્રા બાદ ભાજપ ખતમ થઈ જશે: વેણુગોપાલ
કોંગ્રેસ મહાસચિવ વેણુગોપાલે કહ્યું કે ભાજપ જાણે છે કે ભારત જોડો યાત્રા પછી તે ખતમ થઈ જશે. આનો જ તેમને ડર છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અલગ ભૂમિકા ભજવી રહ્યા છે. તે એક શિસ્તબદ્ધ યાત્રી છે. આ યાત્રા ભારતીય રાજકારણમાં એક મોટો વળાંક સાબિત થશે.