જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
જામનગર રાજ્યમાં ભરતી પરીક્ષાના પેપર કૌભાંડ ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજા ઉપર પોલીસે ગંભીર કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે. તેને દૂર કરવાની માંગ સાથે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ-જામનગરના નેજા હેઠળ રેલી કાઢ્યા પછી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલા આવેદન પત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષામાં ગોટાળા થઈ રહ્યા છે. પરીક્ષા પહેલા જ પેપર લીક અંગે યુવરાજસિંહ જાડેજા કૌભાંડ ઉજાગર કર્યા હતાં. તેમણે ઊઠાવેલ અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કની અનેક ભરતી પરીક્ષા રદ્ કરવી પડી હતી. આમ સતત લડત આપતા યુવરાજસિંહ જાડેજા સામે લગાવેલી હત્યા પ્રયાસ સહિતના ગંભીર ગુનાની કલમો દૂર કરવી જોઈએ અને તેમને મુક્ત કરવામાં આવે. આ મુદ્દે જરૃર પડ્યે વધુ આક્રમક લડત આપવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે. જામનગરમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ જામનગર રાજપૂત સેવા સમાજ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, રાજપૂત કરણી સેના, રાજપૂત યુવા સંગઠન, જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, મહાકાલ સેના સહિતની સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતાં. જેમાં કર્ણદેવસિંહ જાડેજા, દોલુભા જાડેજા, આર.ડી. જાડેજા, જયપાલસિંહ ઝાલા, રૃષિરાજસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, દિગુભા જાડેજા, કાંતુભા જાડેજા, ગોવુભા જાડેજા સહિતનાઓ જોડાયા હતાં.