ઐતિહાસિક નગરી પાટણ ખાતે આવેલ વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ તળાવ નિહાળવા આવતા પર્યટકો માટે કેન્ટીન અને ગેસ્ટ હાઉસ સુવિધાનો અભાવ છે ત્યારે રાણકીવાવ રોડ ઉપર આવેલ દર્શનીય મ્યુઝિયમ સંકુલમાં આ બંને વ્યવસ્થાઓ કરવા માટે મ્યુઝિયમ ઓથોરિટી દ્વારા વિચારાયું છે, અને તંત્રમાં પ્રાથમિક તબક્કે કેટલીક રજૂઆતો કરી છે તો કેટલીક તૈયાર કરાઈ રહી છે.
રાજ્ય સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં આવતા મ્યુઝિયમમાં તાજેતરમાં નિયુક્ત થયેલા સૌપ્રથમ અધિકારી સુરેલા દ્વારા મ્યુઝિયમના વિકાસ માટે કામગીરી શરૂ કરાઈ છે. અંદરના ભાગે બગીચામાં ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરીને તેમાં સ્વ શ્રમદાન દ્વારા સફાઈ કરાઈ છે જ્યાં કારપેટ ગાર્ડન બનાવવા વિચાર્યુ છે. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે બહારના ભાગે ઘણી જગ્યા ઉપલબ્ધ છે જ્યાં એક તરફ કેન્ટીન અને પાર્કિંગ જ્યારે બીજી તરફ ગેસ્ટ હાઉસ બનાવી શકાય તેવી શક્યતા છે. આ માટે તંત્રમાં દરખાસ્ત કામગીરી હાથ ધરી છે.
વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ વિસ્તારમાં પર્યટકો માટે સુવિધા નથી જે હેરિટેજ સ્મારકોથી નજીકમાં યુનેસ્કોના ક્રાઈટેરિયા અનુસાર ઉપલબ્ધ થઇ શકશે.અહીં અનુકૂળ જગ્યા હોઈ આ સુવિધા થશે તો મ્યુઝિયમમાં મુલાકાતીઓને વધુ સંખ્યામાં આકર્ષી શકાશે. અમે પાલિકા અને જિલ્લા તંત્ર પાસે પણ સહયોગની અપેક્ષા રાખીએ છીએ.
મ્યુઝિયમ નિહાળવા માટે ટિકિટ માત્ર રૂ.5 મ્યુઝિયમ નિહાળવા માટે માત્ર 5 રૂપિયા ટિકિટ રાખેલી છે. જેમાં શાળાઓ તેમના લેટરપેડ ઉપર અરજી કરે તો માત્ર 2 રૂપિયા ફી લેવાય છે તેમ અધિકારીએ જણાવ્યું હતું. વર્ષ 2018માં 10000 જેટલા યાત્રિકોએ મુલાકાત લીધી હતી. હવે કોરોના પછી ફરી ખુલ્લૂ મૂકાતાં જાન્યુઆરીમાં 657 અને ફેબ્રુઆરીમાં 814 ટુરીસ્ટએ મુલાકાત લીધી હતી.