જામનગર નજીકના દરેડ ગામે અને ઔદ્યોગિક વિસ્તારમાં મજૂરી કામ કરતાં એક પરપ્રાંતિય યુવાને ભાડાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ જીવતરનો અંત આણ્યો છે. નિયમિત મજૂરી કામે ન જતાં મૃત્તકને તેની માતાએ વતનમાં ચાલ્યું જવાનું રહેતાં તેને લાગી આવ્યું હતું અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ જામનગર નજીકના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં મસીતિયા રોડ પર મુરલીધર સોસાયટી પાછળ આવેલ ખોલીની ઓરડીમાં રહેતાં દેવપ્રકાશ અંબાપ્રકાશ ગંગવાર (ઉ.વ.25) નામના મૂળ ઉત્તરપ્રદેશના પરપ્રાંતિય યુવાને ગઇકાલે સાંજે સાતેક વાગ્યે પોતાના ઘરે લોખંડના પાઇપમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મૃત્તક યુવાનના માતા પ્રેમવતીબેન ગંગવારે આ બનાવ અંગે પંચકોષી બી ડિવિઝન પોલીસ દફતરને જાણ કરી હતી. જેને લઇને ઘટનાસ્થળે પહોંચેલ પોલીસે મૃત્તકનો કબ્જો સંભાળી, જી.જી.હોસ્પિટલ ખસેડી પીએમ વિધી પાર પાડી હતી. આ બનાવ અંગે પોલીસે મૃત્તકના માતાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં મૃત્તક નિયમિત મજૂરી કામ કરવા ન જતો હોવાથી તેને વતનમાં ચાલ્યા જવાનું કહ્યું હતું. માતાએ વતનમાં ચાલ્યા જવાનું કહેતા યુવાને અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.