



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને વેક્સિનેશનની શરૂઆત કરવાની જાહેરાત કર્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 15થી 18 વર્ષની વયના 26 લાખ બાળકોનો ડેટા તૈયાર કરી દીધો છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે આ વયજૂથના મોટાભાગનાં બાળકો સ્કૂલ ગોઇંગ છે જેથી વેક્સિનેશન માટે સ્કૂલોમાં કેમ્પ કરવામાં આવશે. આ ત્રણ રીતે બાળકોને રસી અપાશે- (1) સ્કૂલોમાં કેમ્પ યોજાશે. તબીબો પણ હાજર રહેશે, (2) વાલીઓ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રમાં બાળકોને લઈને રસી અપાવડાવશે. (3) સ્કૂલે નહીં જતા બાળકો માટે રસીકરણ ડ્રાઇવ શરૂ કરી ઘરે તંત્ર પહોંચશે. બાળકો માટે કોરોનાની રસી ફરજિયાત નથી છતાં કોરોનાને હરાવવા માટે તમામ વાલીઓ સહકાર આપે અને પોતાના બાળકોને રસી મુકાવે તેવી અપીલ જયપ્રકાશ શિવહરેએ કરી છે. શિવહરેએ કહ્યું કે જે રીતે રસીકરણ દ્વારા દેશ પોલિયોમુક્ત બન્યો એમ કોરોનામુક્ત બનાવવા માટે સહકાર જરૂરી છે. 15-18 વર્ષના કિશોરોને સ્કૂલ સર્ટિ કે આઇડી કાર્ડ માન્ય.. 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણ માટે 1 જાન્યુઆરીથી કૉવિન એપ પર રજિસ્ટ્રેશન કરી શકાશે. જન્મતારીખનો ઉલ્લેખ હોય એવું સ્કૂલના રિઝલ્ટનું કોઈપણ પ્રમાણપત્ર માન્ય રહેશે. સાથે જ સ્કૂલ આઇડી કાર્ડ પણ માન્ય રહેશે.