(જી.એન.એસ) તા.૩
મોરબી,
મોરબી જિલ્લામાં અપમૃત્યુના વધુ ત્રણ બનાવથી અરેરાટી પ્રસરી છે. શનાળા ગામે રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધ રૃમમાં સુતા હતા. જ્યાં કોલસાની સગડી રાખી હોવાથી ધુમાડાના કારણે ગુંગણામણ વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે ખારચીયા ગામે બાળક અને મોરબી નજીક યુવાનનું ઊંચાઇ પરથી પડી જવાનાં કારણે મોત નીપજ્યું હતું. શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા કાન્તિલાલ રૃપચંદભાઈ કોઠારી નામના વૃદ્ધ ગત રાત્રીના પોતાના રૃમમાં સુતા હતા અને ઠંડી હોવાથી કોલસાની સગડી રાખી હતી. રૃમ બંધ હોવાથી ધુમાડાના ગુંગણામણથી વૃદ્ધ બેભાન થયા હતા. જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવમાં મોરબી તાલુકાના ખારચીયા ગામે સેવનપંખ કારખાનામાં રહીને મજુરી કરતા અકેશભાઈ રાવતની ત્રણ વર્ષની દીકરી રીતિકા રમતા રમતા પહેલા માળેથી નીચે પડી જતા ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઈ હતી. જ્યાં બાળકીનું મોત થયું હતું. ત્રીજી ઘટનામાં મોરબીના જીવાપર ચકમપર ગામનો રહેવાસી કાંતિલાલ મગનભાઈ કાલરીયા નામનો યુવાન પાવડીયારી કેનાલ પાસે આવેલ સ્કાયટચ કારખાનાના પ્રેસ ખાતામાં સાઈટ પર કામ કરતો હતો. ત્યારે ઉંચાઈથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.