2024માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ. 8 કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પાડવામાં આવ્યા
(જી.એન.એસ) તા. 16
અમદાવાદ,
હિમોફિલિયા એ લોહી ગંઠાવા માટે જરૂરી ક્લોટીંગ ફેક્ટર-7, 8 અને 9 ની જન્મજાત ઉણપથી થતી દુલર્ભ બીમારી છે. આ ક્લોટીંગ ફેક્ટરની ઉણપ લોહીની ગંઠાઈ જવાની ક્ષમતાને અસર કરે છે જેથી આ બીમારીથી પીડીત દર્દીને સામાન્ય ઇજા પછી પણ સતત રક્તસ્ત્રાવ થાય છે અને લાંબા સમય સુધી રક્તસ્ત્રાવ ચાલુ રહે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ. 8 કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પાડવામાં આવ્યા. ઓપરેશનની જરૂર હોય તેવા હિમોફિલિયાના 18 દર્દીઓને જરૂરી ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શનો આપી ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો.
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ હિમોફિલિયા બીમારી વિશેની વધુ વિગતો જણાવતા કહ્યું હતું કે, હિમોફિલિયાના દર્દીઓને રક્તસ્ત્રાવના એપિસોડને રોકવા માટે આ ક્લોટીંગ ફેક્ટર-7, 8 અથવા 9 ના ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. જો કે, આ સારવાર માટે જરૂરી એવા ક્લોટીંગ ફેક્ટર-7, 8 અને 9 ઇન્જેક્શન ઘણા મોંઘા હોવાથી કોઈને પણ પરવડે તેમ હોતા નથી. આ બાબતે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા જીએમએસસીએલ મારફતે ખરીદી કરી આ ઇન્જેક્શનો સરકારી સિવિલ હોસ્પિટલોમાં તમામ જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદની વાત લારીએ તો વર્ષ 2024માં કુલ 153 દર્દીઓને હિમોફિલિયાની સારવાર અંતર્ગત રક્તસ્ત્રાવની રોકથામ એટલે કે પ્રિવેન્શન માટે તેમજ રક્તસ્ત્રાવ શરૂ થયો હોય તો તેને બંધ કરવા માટે વિવિધ ફેક્ટર (ફેક્ટર-7, 8, 9) ના ઇન્જેક્શન આપી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ. 8 કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પાડવામાં આવ્યા. ઓપરેશનની જરૂર હોય તેવા હિમોફિલિયાના 18 દર્દીઓને જરૂરી ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શનો આપી ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો.
જો કે, તે વાત પણ ઉલ્લેખનીય છે કે, 153માંથી હિમોફિલિયાના 18 દર્દીને બીજી કોઈ બીમારીના કારણે ઓપરેશનની જરૂર હતી, જેમનું ઓપરેશન આ ફેક્ટરના ઇન્જેક્શન આપીને જ શક્ય બને તેમ હતું.
તેમજ ડો. રાકેશ જોશીએ, કહ્યું હતું કે, જો વિવિધ ફેકટર ઇન્જેક્શનની વાત કરીએ તો વર્ષ 2024 માં 1 કરોડ 46 લાખ 87 હજારના ફેક્ટર-8, 96 લાખ 59 હજારના ફેક્ટર-9, 43 લાખ 68 હજારના ફેક્ટર-7 અને ફેક્ટર-9 ઇનહીબીટર, અંદાજીત 70 લાખના ફેક્ટર-7 તેમજ 4 કરોડ 50 લાખ કરતા વધારેના રક્ત સ્ત્રાવ રોકવા માટેના EMICIZUMAB ઇંજેક્શનો મળી કુલ 8 કરોડ 8 લાખ કરતા વધુની સારવાર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી હતી.