માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેલવે અન્ડરપાસ, પરકોલેટિંગ વેલ, લેક ડેવલપમેન્ટ, શ્રમિક સુવિધા કેન્દ્ર, રમતગમત સંકુલ સહિત કુલ ₹651 કરોડના 37 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી દ્વારા આ અવસરે સ્લમ રિહેબિલિટેશન એન્ડ રિડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત નિર્માણ પામેલ 83 પાકા આવાસો અને 12 દુકાનોના કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરી ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, આંગણવાડીનાં બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ પોષણયુક્ત દૂધ પીવડાવવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણના જતન અને સંવર્ધનના ભાગરૂપે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગ આપતા કાપડની બેગનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ નવીન પહેલ હેઠળ શહેરના દરેક રહેણાંક એકમમાં આ કાપડની બેગનું વિતરણ કરવામાં આવશે.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીએ નાગરિકોની સુખાકારીમાં વધારો કરતાં કાર્યો બદલ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવાની સાથે સમગ્ર વિસ્તારને મળેલ જનહિતકારી પ્રકલ્પોને પરિણામે થનાર પરિવર્તન અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. તેમણે આ સાથે જ જળસંચય પ્રત્યે જાગૃતિ કેળવવા અને પ્રધાનમંત્રી સોલર રૂફટોપ યોજનાનો લાભ લેવા સૌ શહેરીજનોને અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાત વિરાસતની જાળવણીના કાર્યપથ અને વિકાસના કર્તવ્યપથ પર નિરંતર અગ્રેસર રહ્યું છે. તેમણે આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવેલ કાર્યોને નાગરિકો માટે સુવિધાસભર પરિવહન સેવાની સાથે પાણી, આરોગ્ય અને સ્પોર્ટ્સ જેવી માળખાકીય સુવિધાઓમાં વધારો કરનાર ગણાવ્યા હતા.
સુનિયોજિત નાણાકીય વ્યવસ્થાપન દ્વારા શહેરીકરણને વિકાસનો અવસર ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાત રોડમેપમાં ભવિષ્યના આયોજન દ્વારા ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટની સાથે શહેરી સુખાકારીની વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો તેમજ સૌને સ્વચ્છતાને સ્વભાવ બનાવીને સ્વચ્છ અને ગ્રીન શહેર બનાવવા માટેનો અનુરોધ કર્યો હતો.