આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ : વડનગરની 2500 વર્ષોની પુરાતત્વીય યાત્રાનો વિશિષ્ટ અનુભવ
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અદભુત પુરાતત્વીય સ્થાપત્યોની સમૃદ્ધ વિરાસત ધરાવતા વડનગર ખાતે નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું.
કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ ભારતના આ પ્રકારના સૌપ્રથમ મ્યુઝિયમમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલ 5000થી વધુ કલાકૃતિઓ મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાની સાથોસાથ 2500 વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ મ્યુઝિયમને પુલ મારફતે ખોદકામની લાઇવ સાઇટ સાથે જોડવામાં આવ્યું છે. વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ ઉપરાંત ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો સાથેનું આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ ઇતિહાસ અને સંસ્કૃતિમાં રસ ધરાવતા નાગરિકો, વિદ્યાર્થીઓ તેમજ તજજ્ઞો માટે એક ખાસ ભેટ છે.
#Vadnagar