(જી.એન.એસ) તા.૪
મોરબી,
કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં રહેતા ખેડૂત ગળાફાંસો ખાઇ આપઘાત કરતા તપાસ હાથ ધરાઇ છે. મોરબીના રાપર ગામે રહીને મજુરી કરતા ૪૫ વર્ષીય પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. વાંકાનેરનાં સરતાનપર રોડ પર ૨૫ વર્ષીય યુવાન કોઈ કારણોસર બેભાન થતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો. કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધર્મેન્દ્ર દેવજીભાઈ વઘેરા નામના ૨૨ વર્ષના ખેડૂત યુવાને પોતાની વાડીમાં આવેલા ગોડાઉમાં કોઈ આગમ્ય કારણોસર પંખામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી દીધી હતી. પોલીસે ખેડૂતના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવેલ છે. અને આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. તે જાણવા માટે તેમના પરિવારના નિવેદનો નોંધવાનું શરૃ કર્યું છે. મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા સંતોકીબેન સુખરામભાઈ મસ્વન નામની મહિલા વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં મહિલાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર ટીટા સેનેટરીમાં રહેતા ચંદન ઉર્ફે ચંદુકુમાર પ્રભુભાઈ મહેતા નામના યુવાન સરતાનપર રોડ પર અચાનક બેભાન થઇ જતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને યુવાનને મરણ ગયેલ જાહેર કર્યા હતો. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે.