સુરત શહેરમાં સોમવારે સવારે નાનપુરા મકાઈ પુલ પાસે વિહારમાં નીકળેલા 70 વર્ષીય જૈન સાધ્વીને સીટી બસના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જૈન સાધ્વીનું મૃત્યુ થયું છે. આ મામલે અઠવા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બસે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ
મીડિયા અહેવાલ મુજબ, સોમવારે સવારે ગોપીપુરા ખાતે આવેલા માળી ફળિયામાં લીંબડાનો ઉપાશ્રયમાં રહેતા જૈન સાધ્વી શ્રી રત્નાપૂર્ણા શ્રીજી મ.સા. (ઉં.70) વિહાર માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓ નાનપુરા મકાઈપુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક સીટી બાસ પણ ત્યાંથી પસાર થઈ રહી હતી. પરંતુ, સીટી બસના ચાલકે તેમને ટક્કર મારી અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં જૈન સાધ્વીજી નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી.
હાલ કોઈ ગુનો નોંધાયો નથી
સ્થાનિક લોકો દ્વારા સાધ્વીજીને નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ માથાના ભાગે ગંભીર ઇજા હોવાના કારણે સારવાર પહેલાજ જૈન સાધ્વીજીનું મૃત્યું થયું હતું. આ અંગે અઠવા પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી. જોકે પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં સ્વજનોની રજૂઆતને ધ્યાનમાં રાખી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. અને હાલ કોઈ ગુનો પણ નોંધાયો નથી.