હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની બમ્પર જીત બાદ, રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે છેલ્લા બે દિવસથી પાર્ટીમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ ખુરશી માટે ઘણા દિગ્ગજ નેતાઓએ દાવો કર્યો હતો, પરંતુ હવે સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. પ્રતિભા સિંહ ભલે એક સમયે આ ખુરશી માટે સૌથી મોટા દાવેદાર માનવામાં આવતા હોય, પરંતુ કોંગ્રેસે સીએમ પદ માટે સુખવિંદર સિંહ સુખુનું નામ નક્કી કર્યું છે. આ સમાચાર હાલમાં જ સૂત્રો દ્વારા સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે પાર્ટી ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે.
મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ હશે. હાઈકમાન્ડે તેમના નામપર મહોર મારી દીધી છે. હિમાચલ પ્રદેશના સીએમનું નામ નક્કી કરવા પ્રભારી રાજીવ શુક્લાએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મળીને વિચારવિમર્શ કર્યો હતો. આટલી લાંબી ચર્ચા બાદ સુખવિંદર સિંહ સુખુનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખડગેએ આ કામ માટે ગાંધી પરિવારની મદદ પણ લીધી હતી.
સત્તાવાર જાહેરાત ક્યારે થશે
બીજી તરફ સીએમ પદ માટે સુખુના નામની જાહેરાતને લઈને એવા અહેવાલો છે કે પાર્ટી પહેલા સુખુના નામ પર અન્ય મોટા નેતાઓ સાથે ચર્ચા કરશે. આ પછી જ આજે સાંજે તેમના નામની જાહેરાત થઈ શકે છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. જો કે સુખુ હજુ પણ તેમના સીએમ બનવાના સમાચારોને નકારી રહ્યા છે, પરંતુ માનવામાં આવે છે કે ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવશે.
પ્રતિભા સિંહને મનાવવાનો પ્રયાસ ચાલુ
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ગુલબર્ગમાં છે. ત્યાંથી તે ફોન પર હિમાચલની હિલચાલની માહિતી લેતા હતા. એવું માનવામાં આવે છે કે સુખુના નામની જાહેરાતથી વીરભદ્ર સિંહની પત્ની અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ નારાજ છે. આવી સ્થિતિમાં પાર્ટી હવે તેમને મનાવવાનો પ્રયાસ કરી રહી છે. એવી માહિતી પણ છે કે જો પ્રતિભા સિંહ સહમત થાય છે તો વિક્રમાદિત્ય અને મુકેશ અગ્નિહોત્રીને નાયબ મુખ્યમંત્રી બનાવી શકાય છે. જણાવી દઈએ કે પ્રતિભા સિંહની સાથે વિક્રમાદિત્ય સિંહ અને મુકેશ અગ્નિહોત્રી પણ સીએમ પદના દાવેદાર છે.