ગાંધી-સુદામાની નગરી પોરબંદર રાજરત્ન શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતાની કર્મભૂમિ પણ કહેવામાં આવે છે ત્યારે અહીંયા આર્ય કન્યા ગુરુકુળ તપોભૂમિમાં ડો. સવિતાદીદી એન. મહેતા મ્યુઝિયમ અને વિશ્વ ગુર્જરી લાઇબ્રેરીનું નિર્માણ થયું છે જેનું ઉદ્ઘાટન શુક્રવારે કરવામાં આવશે. તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. પોરબંદર આર્ય કન્યા ગુરૂકુળ તપોભૂમિમાં જાણીતા શિક્ષણવિદ્ અને નૃત્યાંગના ડો. સવિતાદીદીની પાવન સ્મૃતિમાં નિર્માણ પામેલ મ્યુઝિયમ અને વિશ્વ ગુર્જરી લાયબ્રેરીનું ઉદ્ઘાટન આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી મહેન્દ્રભાઇ મહેતાના વરદ્ હસ્તે આગામી શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર ૨૦૨૨ની સવારના ૧૦ કલાકે સંપન્ન થશે.આ અવસરે મુખ્ય અતિથિ પદે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા જ્યારે અતિથિ વિશેષ પદે જાણીતા લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી, મણિપુરના રાજવી પરિવારના સોમી રોય-ઇમ્ફાલ, મણિપુરી નૃત્યાંગના સુશ્રી પ્રિતી પટેલ- કોલકતા, મહેર સુપ્રિમ કાઉન્સીલના આંતરરાષ્ટ્રીય પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા-લંડન, વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઇ વિઠલાણી-મુંબઇ, કેશવાલા ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડિરેકટર રણમલભાઇ કેશવાલા-જિંજા યુગાન્ડા, બિઝનેશમેન કૌશિકભાઇ પંચમતીયા- કિમુ યુગાન્ડા અને સોનલબહેન અમિતભાઈ શાહ-અમદાવાદ ઉપરાંત પોરબંદર શહેરના અગ્રગણ્ય શહેરીજનો સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ પ્રેરણીય બની રહેશે.
આ પ્રસંગે મહેતા પરિવારના મહેન્દ્રભાઇ મહેતા, શ્રી અને શ્રીમતી જય મહેતા, શ્રીમતી ઉમાબહેન મહેતા તેમજ શ્રીમતી કમલાક્ષી મહેતા પણ ખાસ ઉપસ્થિત રહેશે.આ મ્યુઝિયમ પૂજનીયા સવિતાદીદીની અંતિમ ઇચ્છાની અભિવ્યક્તિ છે. તેમના અલભ્ય કહી શકાય તેવા લગભગ ૧૦,૦૦૦ પુસ્તકો, મણિપુરી ડાન્સ કોસ્ચ્યુમ, આભૂષણો અને અન્ય અંગત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ભરતકામ અને બીડવર્ક વગેરે કલાકૃતિઓના સંગ્રહનો ગુરૂકુળની વિદ્યાર્થિનીઓ, પોરબંદરના નાગરિકો તેમજ સમગ્ર સમાજને પરિચય થાય તેવા તેઓશ્રીના હેતુથી આ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવેલ છે. સવિતાદીદીના આ સ્વપ્નને સાકાર કરવામાં તેમના પરિવારના મહેન્દ્રભાઇ અને સુનયનાબહેન મહેતા તેમજ શ્રી જય મહેતા અને જૂહી ચાવલા મહેતાનો પ્રેમભીનો પુરૂષાર્થ પ્રશંસનીય છે. આ ભવ્ય મ્યુઝિયમ અને લાઇબ્રેરીના બિલ્ડીંગની ડિઝાઇન શ્રીલંકાના સુપ્રસિધ્ધ આર્કિટેકટ ચન્ના દાસવતે દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જ્યારે ઇન્ટીરીયર ડિઝાઇન દિલ્હીના જાણીતા ક્યુરેટર દિપ્તી સસીધરને કરેલ છે.આ અવસરની ઢળતી સાંજના પાંચ કલાકે ભવ્ય પ્રદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં શ્રીમતી સોનલબહેન અમિતભાઈ શાહ મુખ્ય અતિથિ પદે ખાસ ઉપસ્થિત રહેશે