પોરબંદર નજીકના ગોસાબારાના માછીમારોને યોગ્ય ન્યાય આપવા માંગણી થઇ છે. પોરબંદરના સામાજીક કાર્યકર જયેશભાઈ સવજાણીએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, ગોસાબારા મછીયારાઓને માછીમારી બંધ કરવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવેલ છે. જેના કારણે તેમની જો હુકમીથી આ વિસ્તારની માછીમારની મહિલાઓને ઘરમાં બાળકોને ખવડાવા રાશન ન લઇ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા ના છુટકે સામુહિક કરવા માટે મજબુર થયેલ અને આત્મહત્યાની કોશિશ કરેલ છે. પરંતુ આ બાબતે સરકારના ફીશરીઝ ડિપાર્ટમેન્ટ તથા અન્ય એજન્સીઓ જાણે સત્ય હકીકત જાણતા ન હોય તેમ તેઓની રોજીરોટી બંધ કરેલ છે.
આ એક જ પરિવાર છે કે જેના ૧૯૮૩ ના પુર હોનારતોમાં પોરબંદર શહેર અને આજુબાજુ વિસ્તારના અનેક નાગરીકોની બોટ દ્વારા જાન બચાવેલ છે તેમજ પોતાના જીવ જોખમમાં મુકી ઘણાબધા પરિવારનો બચાવી તેના રહેણાંક સ્થાને પહોંચાડેલા છે અને તે સમયે સરકાર દ્વારા આ જુમ્મા મછીયારા પરિવારનું સન્માન કરવામાં આવેલ હતું તેમજ સન્માપત્ર- પ્રમાણપત્ર પણ સરકાર દ્વારા આપવામાં આવેલ હતું. આ ઉપરાંત જયારે ગોસાબારા દરીયા કિનારે ગેરકાયદેસર હથિયાર તેમજ ચાંદીનું લેન્ડીંગ થયેલ ત્યારે પણ ગુજરાતની તે સમયની પોલીસ એજન્સી એ.ટી.એસ. દ્વારા તપાસ કરતા ઉપરોકત જુમ્મા મછીયાર પરિવારને કલીન ચીટ અપાયેલ હતું. આ લોકોના માછીમારી કરતા પરિવાર ફકત હોય અને તેના ઉપર એ લોકોની રોજીરોટી ચાલતી હોય ત્યારે જે ખરેખર ભારતના નાગરીક છે તેને ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં ન આવે તેમજ તેઓનો ભુતકાળ ધ્યાનમાં રાખીને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી મારી માંગણી છે તેમ જયેશભાઈ સવજાણીએ કરેલી રજૂઆતમાં ઉમેર્યું છે.