ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડકપ 2022ની બહાર થઇ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે જણાવ્યુ કે બોર્ડની મેડિકલ ટીમે ઉંડી તપાસ અને જાણકારો સાથે ચર્ચા બાદ આ નિર્ણય કર્યો છે. બુમરાહને ગત મહિને પીઠની ઇજાને કારણે એશિયા કપની બહાર કરવામાં આવ્યો હતો. તે બાદ તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચની ટી-20 સીરિઝ રમવા માટે ટીમમાં પરત આવ્યો હતો જ્યા તેને બે મેચ રમીને એક વિકેટ ઝડપી હતી.
બુમરાહને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પણ ત્રણ મેચની ટી-20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ પીઠની ઇજાને કારણે તે ટીમમાંથી ફરી બહાર થઇ ગયો હતો અને તપાસ માટે બેંગલુરૂની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ગયો હતો. બુમરાહ પહેલા અનુભવી ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ચુક્યો છે, જે ઘૂંટણની સર્જરી બાદ રિહૈબમાંથી પસાર થઇ રહ્યો છે.
જસપ્રીત બુમરાહના વર્લ્ડકપમાંથી બહાર થવા પર ફેન્સ ઘણા નારાજ છે. આંકડા પર નજર કરીએ તો જસપ્રીત બુમરાહે ભારત માટે આ વર્ષે માત્ર 5 ટી-20 મેચ રમી છે. આઇપીએલમં કુલ 14 મેચમાં વગર બ્રેકે ભાગ લીધો હતો, જેને કારણે આ સવાલ ઉભા થઇ રહ્યા છે કે આઇપીએલમાં કોઇ મુશ્કેલી વગર આ ખેલાડી રમી લે છે પરંતુ ભારતની મેચમાં અનફિટ થઇ જાય છે. ફેન્સ આ વાતથી નારાજ છે કે બુમરાહને સંન્યાસ લેવાની સલાહ આપવા લાગ્યા છે.
એક આંકડો એવો પણ છે કે 2019થી બુમરાહે કુલ 59 મેચ રમી છે અને માત્ર એક મેચ નથી રમી. આ દરમિયાન ભારતીય ટીમે 71 ટી-20 મેચ રમી છે જેમાં બુમરાહે 16 મેચ રમી છે.
ગત વર્ષએ યૂએઇમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હતુ જ્યા ટીમ સુપર-12થી આગળ વધી શકી નહતી. બુમરાહે તે ટૂર્નામેન્ટમાં ટીમ માટે મહત્વપૂર્ણ પ્રદર્શન કરતા પાંચ મેચમાં 13.57ની એવરેજથી સાત વિકેટ ઝડપી હતી. બુમરાહ 60 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 70 વિકેટ લઇને રમતના સૌથી નાના ફોર્મેટમાં ભારતનો ત્રીજો સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. જાડેજા પછી તેનો ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થવુ ભારત માટે મોટ ઝટકો છે.
ભારત પાસે વર્લ્ડકપ ટીમના વધારાના ખેલાડીમાં મોહમ્મદ શમી અને દીપક ચહરના રૂપમાં બે ફાસ્ટ બોલર છે. શાહે નિવેદનમાં કહ્યુ કે બીસીસીઆઇ જલ્દી વર્લ્ડકપ માટે બુમરાહના વિકલ્પની જાહેરાત કરશે.