કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેની ઉમેદવારી માટે પક્ષમાં સમર્થન વધતું જોવા મળી રહ્યું છે. રવિવારે તેમના માટે પ્રચાર કરવા માટે પાર્ટીના ત્રણ સત્તાવાર પ્રવક્તાએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. જેમાં દીપેન્દ્ર સિંહ હુડ્ડા, નસીર હુસૈન અને ગૌરવ વલ્લભનો સમાવેશ થાય છે.
પાર્ટીના નેતા ગૌરવ વલ્લભે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી મુક્ત અને ન્યાયી થાય અને અમે ખડગે માટે પ્રચાર કરવા માંગીએ છીએ, તેથી અમે અમારા પદ પરથી રાજીનામું આપી રહ્યાં છીએ. વાસ્તવમાં, મલ્લિકાર્જુન ખડગેના પક્ષમાં પ્રચારની જવાબદારી આ ત્રણને સોંપવામાં આવી છે. ત્રણ પ્રવક્તાના આ રાજીનામા બાદ ખડગેએ કહ્યું કે, આજે હું સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ માટે મારા અભિયાનની શરૂઆત કરી રહ્યો છું. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે શશિ થરૂર સામે મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી લડી રહ્યા છે.
પાર્ટીને મજબૂત કરવા ચૂંટણી લડી રહ્યો છું: ખડગે
ખડગેએ કહ્યું કે, “મેં કોઈની સામે અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી નથી, પરંતુ હું પાર્ટીને મજબૂત કરવા માટે ચૂંટણી લડી રહ્યો છું.” મીડિયાના એક સવાલનો જવાબ આપતાં તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને ગાંધી પરિવારનું સમર્થન નથી. ખડગેએ કહ્યું કે, પાર્ટીના ઘણા મોટા નેતાઓના કહેવા પર મેં ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો.
ભાજપ પર સાધ્યું નિશાન
આ દરમિયાન ખડગેએ ભાજપ પર પણ નિશાન સાધતા કહ્યું કે, દેશના અમીરો દિવસેને દિવસે વધુ અમીર થઈ રહ્યા છે અને ગરીબો દિવસેને દિવસે ગરીબ થઈ રહ્યા છે. 8 વર્ષમાં ભાજપે પોતાનું એક પણ વચન પાળ્યું નથી. તેમણે કહ્યું કે ભાજપ કોઈ પણ પ્રકારનું કામ જનતાના હિતમાં નથી કરી રહી.