તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં ઘાટલોડીયામાં એક રીક્ષા ચાલકના આમંંત્રણને સ્વિકારી તેના ઘરે જમવા ગયા હતા. ત્યાર બાજ થોડા દિવસ પછી આ રીક્ષા ચાલક કેસરી ખેસ સાથે જોવા મળતા અને ભાજપનો સમર્થક હોવાનું સામે આવતા આ મામલે આપ તરફથી પ્રતિક્રીયાઓ સામે આવી રહી છે ત્યારે કેજરીવાલે આજે મીડિયા સમક્ષ આ મામલે કોઈનું પણ નામ લીધા વિના પ્રતિક્રીયા આપી હતી.
તેમણે મીડીયા સમક્ષ કર્યું કે, ભાજપના સમર્થકો ભાજપના નેતાને તેમના ઘરે જમવા માટે આમંત્રિત કરતા નથી પરંતુ તેઓ મને આમંત્રણ આપે છે કારણ કે આજે દરેક ગુજરાતી મને પ્રેમ કરે છે તેમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતના 6.5 કરોડ ગુજરાતીઓ મને પ્રેમ કરવા લાગ્યા છે અને આ ખૂબ જ સારી વાત છે. કોંગ્રેસના હોય કે ભાજપના હોય કોઈ મને તેમના ઘરે ભોજન માટે બોલાવે છે તો હું દરેકના ઘરે જાઉં છું. મને એની કોઈ દરકાર નથી કે કોણ કોને વોટ આપે છે. તે સારી વાત છે કે ભાજપના સમર્થકો ભાજપના નેતાને તેમના ઘરે ભોજન માટે આમંત્રણ આપતા નથી પરંતુ તેઓ મને આમંત્રણ આપે છે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે ભાજપના લોકોના વીજ બિલ માફ કરીશું અને કોંગ્રેસના લોકોના વીજ બિલ માફ કરીશું. અમે તે બધાની મોંઘવારી ઓછી કરીશું. અમે ભેદભાવ નહીં કરીએ કારણ કે બધા અમારા લોકો છે.
અરવિંદ કેજરીવાલે આજે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે ગોવામાં કોંગ્રેસ પાર્ટીના 11 ધારાસભ્યો હતા જેમાંથી 8 ભાજપમાં ગયા અને આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો હતા, તેઓ હજુ પણ આમ આદમી પાર્ટીમાં છે. આપણે આખા દેશમાં જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં બેઠી છે. ભાજપને જેટલા ધારાસભ્યો જોવે તે કોંગ્રેસ પાસેથી ખરીદી લે છે. આ ભાજપની જોઇંટ સ્ટ્રેટેજી બની ગઈ છે.