ભારતીય જનતા પાર્ટીની ગુજરાત ગૌરવ યાત્રાએ આજે ભાવનગર જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. શહેરમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી. સભામાં અર્જુનરામ મેઘવાળે સભામાં રાજસ્થાની ભાષામાં ભજન, કથાના પઠન ચાલુ કર્યા હતા ગુજરાત ગૌરવ યાત્રા ભાવનગર જિલ્લામાં આજે પ્રવેશી હતી. યાત્રાના કાર્યક્રમ મુજબ આજે પ્રથમ દિવસે બપોરે વલ્લભીપુર ખાતે આવી પહોંચી હતી. બપોર બાદ ગારિયાધાર અને સાંજે પાલિતાણા ખાતે સભાઓ યોજાશે. પહેલા દિવસે વલ્લભીપુર ખાતે સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, અર્જુનરામ મેઘવાળ અને ગોરધન ઝડફિયા હાજર રહ્યાં હતાં. ગૌરવ યાત્રા પાલિતાણા ખાતે રાત્રિ રોકાણ બાદ શનિવારે સવારે સિહોર, બપોર બાદ તળાજા અને સાંજે મહુવા ખાતે સભાઓ યોજાશે. બીજા દિવસની સભાઓમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત જોડાશે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય અગ્રણીઓની અલગ-અલગ સભાઓ ઉપરાંત જે-જે ગામોમાં સ્વાગત સન્માનના કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે. તે કેન્દ્રીય નેતાઓ સાથે રાજ્યના સ્થાનિક અગ્રણીઓ ભાજપ સંગઠનના અગ્રણી હોદ્દેદારો જોડાયા છે. મનસુખ માંડવીયાએ લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી.
