(જી.એન.એસ) તા. 4
ગાંધીનગર,
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ પંચના અધ્યક્ષ તરીકે શ્રી યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ ૩ સભ્યો સાબરકાંઠાના શ્રી જયંતીલાલ દેવાભાઈ પટેલ, વડોદરાના શ્રી સુનીલ સોલંકી અને ભાવનગરના શ્રી અભયસિંહ ચૌહાણની નિમણૂક કરી છે.
આ રાજ્ય નાણાં પંચના અન્ય એક સભ્ય અને સભ્ય સચિવ તરીકે શ્રી બી. પી. ચૌહાણ આઈ.એ.એસ.ની નિમણૂક ફેબ્રુઆરી-૨૦૨૫માં કરવામાં આવેલી છે.
નાણાં પંચના અધ્યક્ષશ્રી સહિત પાંચથી વધે નહીં એ રીતે સભ્યોની નિમણૂક સાથે રાજ્ય નાણાં પંચની રચના કરી શકવાની જોગવાઈ છે.
રાજ્ય સરકારે અગાઉ અધ્યક્ષશ્રીની નિમણૂક કર્યા પછી હવે વધુ ૩ સભ્યોની પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક અને એક પૂર્ણકાલીન સભ્યની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરતાં રાજ્ય નાણાં પંચમાં હવે પાંચ સભ્યોની નિયુક્તિ પૂર્ણ થઈ છે.