(જી.એન.એસ) તા. 9
નવસારી,
નવસારીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બોર્ડરૂમ શૈલીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. આ રીતે તેઓ કંપનીના સીઇઓ સાથે વાતચીત કરતા હોય છે. હાથમાં નોટપેડ અને પેન્સિલ રાખીને તેમણે ચર્ચા દરમિયાન મહત્વના મુદ્દાઓને ટાંક્યા હતા.
મોટાભાગની મહિલાઓએ સંવાદમાં જણાવ્યું કે પીએમ મોદી, તેમની નીતિઓ અને તેમણે આપેલી પ્રેરણાને કારણે જ તેઓ લખપતિ દીદી બનવામાં સફળ રહી છે. લખપતિ દીદીઓના સકારાત્મક અનુભવો અને પ્રગતિ સાંભળીને વડાપ્રધાને કહ્યું કે 3 કરોડ લખપતિ દીદીનો લક્ષ્યાંક ટૂંક સમયમાં સિદ્ધ થઈ શકે છે અને આવનારા સમયમાં 5 કરોડનો લક્ષ્યાંક પણ પ્રાપ્ત કરી શકાય છે.
મહિલાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પીએમ મોદીના નેતૃત્વમાં થોડા વર્ષો બાદ તેઓ લખપતિ દીદી કાર્યક્રમને બદલે કરોડપતિ દીદી કાર્યક્રમમાં ભાગ લેશે. એક ડ્રોન પાઇલટે કહ્યું કે તે વિમાન ઉડાડી શકતી નહોતી, પરંતુ પીએમ મોદીના કારણે તેને ડ્રોન પાઇલટ બનવાની તક મળી છે. તે મહિલાએ જણાવ્યું કે હવે તેના ઘર અને ગામમાં તેને ‘ભાભી’ કહેવાને બદલે પાઇલટ તરીકે સૌ સંબોધન કરે છે.
વ્યવસાયના વિસ્તરણ અંગેની ચર્ચા કરતા પીએમ મોદીએ લખપતિ દીદીઓને તેમનો વ્યવસાય ઓનલાઇન પ્લેટફોર્મ પર લાવવાનું સૂચન કર્યું જેથી મોટા બજારનો લાભ તેમને મળી શકે. તેમણે કહ્યું કે તેમના જેવી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે.
મિલેટનો પ્રચાર કરવા માટેની પીએમની પહેલની પ્રશંસા કરતા એક મહિલાએ જણાવ્યું કે ગુજરાતના તેમના ખાખરા લોકપ્રિય બની ગયા છે. આ બાબતે પીએમએ કહ્યું કે આવા પ્રયાસોને કારણે, ખાખરા હવે ફક્ત ગુજરાત પૂરતા મર્યાદિત નથી રહ્યા પરંતુ રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયા છે.
એક મહિલાએ કહ્યું કે વાતચીત માટે આમંત્રણ મળવું એ તેના માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી. કેટલાક પાડોશીઓએ તો રમૂજમાં કહ્યું હતું કે મીટિંગ દરમિયાન તેમના વિશે કોઈ ફરિયાદ ના કરતા.