પાત્રતા ધરાવતી રાજ્યની દીકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ ત્રણ હપ્તામાં DBT મારફતે ચૂકવાય છે
(જી.એન.એસ) તા. 6
ગાંધીનગર,
વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રાજયની ૨.૭૮ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે. જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૧,૧૨૦ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ ૭,૪૩૪ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે.
વ્હાલી દીકરી યોજનાના હેતુ વિશે પૂછાયેલા પેટા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવા, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, દીકરીઓના સર્વાંગી વિકાસ તથા મહિલા સશક્તિકરણ માટે વર્ષ ૨૦૧૯થી ગુજરાતમાં ‘વ્હાલી દીકરી યોજના’ અમલમાં મુકવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ ત્રણ હપ્તામાં DBT મારફતે ચૂકવાય છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત ૨ ઓગષ્ટ ૨૦૧૯ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીના તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા-પિતાની વાર્ષિક આવક ૨ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો રૂ. ૪૦૦૦ ચુકવવામાં આવે છે. દીકરી જ્યારે નવમાં ધોરણમાં પ્રવેશે ત્યોરે યોજનાનો બીજો હપ્તો રૂ. ૬૦૦૦ ચૂકવાય છે. દીકરીની ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ માટે એક લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે DBT મારફતે ચૂકવાય છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.