(જી.એન.એસ) તા. 16
તાપી,
તાપીનાં વાલોડ નજીક પાણી-પુરવઠાની લીકેજનું સમરકામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા 25 વર્ષીય શ્રમિક યુવકનું મોત નીપજ્યું છે. મૃતકનાં પરિવારજનોએ એજન્સી પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિજનો અને આદિવાસી આગેવાનોનો બુહારી-વાલોડ માર્ગ પર ચક્કાજામ કર્યો છે અને એજન્સીનાં અધિકારીઓ સ્થળ પર આવે પછી જ મૃતદેહ સ્વીકાર કરશે તેવી માગ ઉચ્ચારી છે. પોલીસ, મામલતદાર અને પાણી-પુરવઠાનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે.
આ મામલે માહિતી અનુસાર, તાપી જિલ્લાનાં વાલોડ તાલુકાનાં બુહારી ગામ પાસે પાણી-પુરવઠા દ્વારા લીકેજ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, અચાનક ભેખડ ધસી પડતાં તેની નીચે દબાઈ જતાં ત્યાં કામ કરતો વ્યારા તાલુકાનાં ભોજપૂર ગામનો વતની 25 વર્ષીય તેજસ જગદીશ કોંકણીનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ મૃતકનાં પરિવારજનોએ એજન્સી પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવ્યો છે. આશાસ્પદ દીકરો ગુમાવતા પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે સાથે એજન્સી સામે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૃતકનાં પરિવારજનો તેમ જ આદિવાસી આગેવાનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. કામગીરી કરનાર એજન્સીનાં અધિકારીઓ સ્થળ પર આવે પછી જ મૃતદેહ સ્વીકારવામાં આવશે એવી માંગ પણ ઊઠી હતી અને અંદાજિત 1 કલાકથી બુહારી-વાલોડ માર્ગ બંધ હોવાની સ્થિતિમાં વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને સમજી પોલીસ તેમ જ મામલતદાર અને પાણી પુરવઠાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.