આપણે એક ઈંચ જેટલો વિકાસ કરી શક્યા નથી !
22 જાન્યુઆરી 2025ના રોજ બપોર બાદ ભાવનગર શહેરની ઉડતી મુલાકાત લીધી. અડધો કલાકનો સમય હતો એટલે ભાવનગર શહેરમાં આટો માર્યો. આયુર્વેદ કોલેજ/ ગંગાજળિયા તળાવ/ MG Road/ બાર્ટન લાઈબ્રેરી રોડ/ બાર્ટન લાઈબ્રેરી/ આલ્ફ્રેડ હાઈસ્કૂલ/ ગાંધી સ્મૃતિ/ સરદાર સ્મૃતિ/ ગધેડિયા ફિલ્ડ/ નિલમબાગના દર્શન કર્યા. મિત્રોને મળવાની ઈચ્છા હતી પણ મળી શકાયું નહીં.
નવમું ધોરણ મેં અરુણ હાઈસ્કૂલમાં કર્યું. ત્યારબાદ શામળદાસ આર્ટ્સ કોલેજમાં સ્નાતક થયો. એટલે ભાવનગર શહેરથી પરિચિત છું. MG Road-મહાત્મા ગાંધી રોડ એ ભાવનગરનો મુખ્ય રોડ. આ રોડ પર કોલેજ સમય દરમિયાન ખૂબ ફર્યો હતો. આશ્ચર્યની બાબત એ હતી કે 1973માં આ રોડ જેવો હતો તેવો જ આજે છે ! કોઈ બદલાવ જોવા ન મળ્યો. ભાવનગરનો વિકાસ થીજી ગયો હોય તેમ લાગે !
મારું ગામ માલપરા, ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાનું ગામ. હવે મારા ગામનો બોટાદ જિલ્લામાં સમાવેશ થયો છે. ભાવનગરની સ્થાપના 1723માં ભાવસિંહજી ગોહિલ (1707-1764) દ્વારા કરવામાં આવી હતી. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય સોંપનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા.
ભાવનગરમાં લચ્છુભાઈ ગાંઠિયા તથા મનુભાઈ ગાંઠીયાનો વિકાસ જોવા મળ્યો. ભાવનગરમાં હલકા અને સ્તરહીન નેતાઓનો વિકાસ ગજબનો થયો છે ! ભાવનગર સંસ્કાર નગરી કહેવાય છે. પરંતુ કાળિયા બિડ તરફની એક સોસાયટીના ગેટ પર લખેલું હતું : ‘આ સોસાયટીમાં વિધર્મીઓએ મકાન ખરીદવું નહીં કે ભાડે રાખવું નહીં !’ આટલો વિકાસ થયો છે ! 1973માં આ સ્થિતિ ન હતી. જો કે આ સોસાયટીના લોકોનો શું વાંક કાઢવો? જ્યાં ખુદ વડાપ્રધાન મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવતા હોય ત્યાં લોકોને આવા પાટિયા લગાવવાનો સંકોચ કઈ રીતે થાય?
ભાવનગરથી ધોલેરા-ભડિયાદ-ફેદરા-બગોદરા થઈ અમદાવાદ આવવાનું થયું. ભડિયાદ ગામની વિઝિટ કરી. Dholera SIR-Dholera Special Investment Region માટે ભડિયાદ સીમ વિસ્તારની જમીન પણ સંપાદિત કરી છે. સ્થાનિક ખેડૂત કહે છે કે હાલ તો જમીનોના ભાવ ઠપ થઈ ગયા છે. ગુજરાતના Special Investment Regionમાં ખેડૂતો પાસેથી જમીન લઈ ઔદ્યોગિક વિકાસ થાય છે, પણ ખેડૂતોનો વિનાશ થાય છે. Dholera SIRના વિકાસ સાથે આજુબાજુના ગામડાઓમાં માથાભારે તત્વોએ ગામની સરકારી જમીનો વાળી લીધી છે.
અમુક બિલ્ડરોએ ભડિયાદ-ધોલેરાની આસપાસ ટાઉનશીપ/ પ્લોટ/ મકાનના સપના દેખાડી લોકોને શીશામાં ઊતારેલ છે. અહીંની જમીન કુદરતે સીલ કરેલી છે, તેથી ગટરનું પાણી જમીન સંગ્રહ કરી શકતી નથી. અહીંની માટીમાં કોઈ વૃક્ષ થઈ શકતું નથી કેમકે જમીનમાં ભરપૂર માત્રામાં ક્ષાર છે. આ બાબતની જે લોકોને ખબર નથી તેઓ પ્લોટ/ મકાન બુકિંગ કરાવે છે અને પછી નિરાંતે પછતાય છે !
ભડિયાદમાં અંધશ્રધ્ધાના કેન્દ્ર સમી પીર મહેમુદશાહ બુખારીની દરગાહ છે. હિન્દુઓ અને મુસ્લિમો અહીં દર્શનાર્થે આવે છે. દરગાહની બહાર તથા આજુબાજુ ગંદકી જોવા મળી. આપણા ધર્મસ્થળો અંદર ચોખ્ખા હોય પણ આજુબાજુ ગંદકી હોય છે. કોઈ દેવ/દેવીઓ/ પીર ગંદકી નહીં કરવાની સમજ શ્રદ્ધાળુઓમાં રોપી શકતા નથી ! આ બાબતમાં આપણે એક ઈંચ જેટલો વિકાસ કરી શક્યા નથી !rs