(જી.એન.એસ) તા.૧૫
જામનગર,
આ બનાવ અંગે વાડીની ફરતે વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો છે. જામનગરમાં જામજોધપુરમાં પતંગ લેવા માટે ગયેલા 14 વર્ષના એક તરુણનું વીજ આંચકો લાગતાં મૃત્યુ નીપજયું છે. એક વાડીના શેઢે પતંગ લેવા જતાં તેમાં ગોઠવેલા ચાલુ વીજ પ્રવાહીસાથેના વિજતારમાંથી એકાએક તરુણને વિજ આંચકો લાગ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે વાડીની ફરતે વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામજોધપુરમાં હીના મીલ પાસે પાટણ રોડ પર રહેતા રામાભાઇ કાનાભાઈ રબારીનો 14 વર્ષનો પુત્ર વિજય કે જે ગઈકાલે મકરસંક્રાંતિના પર્વના દિવસે એક કપાયેલો પતંગ લેવા માટે દોડયો હતો, અને ચંદુભાઈ ઠાકરશીભાઈ બકોરી નામના ખેડૂતની વાડીના શેઢે કાંટાળી તાર માં પતંગ ફસાયો હોવાથી કાઢવા જતાં કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાયો હોવાથી તેનું બનાવના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃત બાળકના પિતા રામભાઈ રબારીએ જામજોધપુર પોલીસ મથકમાં ખેડૂત ચંદુભાઈ બકોરી સામે વાડીને ફરતે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ગોઠવી દઇ પોતાના પુત્રનું મૃત્યુ નીપજાવવા અંગેની ફરિયાદ નોંધાવતાં જામજોધપુર પોલીસે ખેડુત ચંદુભાઈ બકોરી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.