અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચ સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ ચાલી રહી છે. ત્યારે આ મેચ જોવા માટે અમદાવાદ સહિત દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો પહોંચી રહ્યા છે. દરમિયાન એક કોલ આવતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક્શન મોડમાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ, ખાલિસ્તાની આતંકી ગુરપરવંતસિંહનો એક ધમકીભર્યો પ્રી-રેકોર્ડેડ મેસેજ વાયરલ થઈ રહ્યો છે.
પીએમ મોદી વિરુદ્ધ અનેક ટિપ્પણીઓ કરાઈ
આ મેસેજમાં લોકોને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ ન જોવા ધમકી આપવામાં આવી છે. માહિતી મુજબ, આ મેસેજ અંગ્રેજીમાં ખાલિસ્તાની આતંકી ગુરપરવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ છે. આ મેસેજની માહિતી મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી છે અને મેસેજને ટ્રેક કરીને તેની જાણાવાજોગ નોંધ દાખલ કરી છે. માહિતી મુજબ, આ મેસેજમાં ક્રિકેટ ચાહકોને ધમકી આપતા કહ્યું છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આ સાથે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અનેક ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે.
લોકોને મોબાઇલમાં ધમકીભર્યો મેસેજ મળ્યો
આ મામલે હવે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે અને આ મેસેજ ક્યાંથી અને કેવી રીતે વાયરલ કરવામાં આવ્યો છે તે દીશામાં તપાસ કરાઈ રહી છે. માહિતી છે કે, કેટલાક લોકોના ફોનમાં ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો કે ખાલિસ્તાન તરફી લોકો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હુમલો કરશે. લોકોમાં ભયનો માહોલ ઊભો કરવા આ કાવતરું કરવામાં આવ્યું હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. જોકે મેસેજ આવ્યા બાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ગ્રાઉન્ડથી માંડીને સોશિયલ મીડિયા સુધીની વોચ વધારી દીધી છે.