સુરત શહેરમાં મોટા લોકો સહિત નાના બાળકો પર શ્વાનના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આ મામલે મહાનગરપાલિકા દ્વારા રખડતાં શ્વાનના આતંકને કાબૂમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. શ્વાનના હુમલાની વધતી જતી ઘટના સામે સુરતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના રોષને જોઈ હવે મેયરે આરોગ્ય અને માર્કેટ વિભાગના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી.
જ્યાં શ્વાનનો વધુ ત્રાસ હોય ત્યાં વધુ ટીમ મૂકવા સૂચના
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ બેઠકમાં મેયરે શહેરમાં રખડતાં શ્વાનનો આતંક દૂર કરવા તંત્રને એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ કર્યો છે. સરવે કરી શહેરમાં જે વિસ્તારમાં શ્વાનનો આતંક વધી હોય ત્યાં એક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરવા અને વધુ ટીમ મૂકવા સૂચના આપી છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી શહેરના અનેક વિસ્તારમાં શ્વાનનોનો આતંક સતત વધી રહ્યો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં રખડતા શ્વાન દ્વારા 3 બાળકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓ બાદ શહેરીજનોમાં શ્વાનનો ભય વધી રહ્યો છે.
લોકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ
સાથે શ્વાનની સમસ્યા અંગે પાલિકા તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ સમસ્યાને ગંભીરતાથી લઈ મેયર હેમાલી બોઘાવાલાએ તંત્રના આધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું અને શહેરમાં રખડતા શ્વાનનો આતંક દૂર કરવા માટે એક્શન પ્લાન બનાવવા માટે સૂચના આપી છે. સાથે જ શહેરમાં સરવે કરી જે વિસ્તારમાં શ્વાનની સમસ્યા વધુ છે ત્યાં વધુ ટીમ મૂકવા જણાવ્યું હતું.