વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટમાં ઈન્ડિયન ઓઈલ દ્વારા વિકસિત સૌર રસોઈ પ્રણાલીના ટ્વીન-કુકટોપ મોડલનું અનાવરણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે બેંગલુરુ ટેકનોલોજી, પ્રતિભા અને નવીનતાની ઉર્જાથી ભરેલું શહેર છે. મારી જેમ તમે પણ અહીં યુવા ઊર્જા અનુભવતા જ હશો. ઈન્ડિયા એનર્જી વીક-2023 એ ભારતના G20 પ્રેસિડન્સી હેઠળની પ્રથમ મોટી ઈવેન્ટ છે. કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવીને મધ્યમ વર્ગની શ્રેણીમાં આવ્યા છે. ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બની ગયો છે.
પીએમએ કહ્યું કે ભારત વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટી ક્રૂડ ઓઈલ રિફાઈનિંગ ક્ષમતા ધરાવે છે. ભારત તેની રિફાઈનિંગ ક્ષમતા વાર્ષિક 250 મિલિયન ટનથી વધારીને 450 મિલિયન ટન વાર્ષિક કરવા પર કામ કરી રહ્યું છે. ભારતનું ગેસ પાઈપલાઈન નેટવર્ક આગામી ચાર-પાંચ વર્ષમાં વર્તમાન 22,000 કિલોમીટરથી 35,000 કિલોમીટર સુધી પહોંચી જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે 21મી સદીના વિશ્વનું ભવિષ્ય નક્કી કરવામાં ઉર્જા ક્ષેત્રની મોટી ભૂમિકા છે. આજે, ઉર્જા સંક્રમણમાં, ઊર્જાના નવા સ્ત્રોતોના વિકાસમાં ભારત વિશ્વના સૌથી મજબૂત અવાજોમાંનો એક છે. વિકસિત બનવાનો સંકલ્પ લઈને ચાલી રહેલા ભારતમાં ઉર્જા ક્ષેત્ર માટે અભૂતપૂર્વ શક્યતાઓ ઊભી થઈ રહી છે. IMF દ્વારા તાજેતરના વૃદ્ધિ અંદાજ દર્શાવે છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. મહામારી અને યુદ્ધની અસર છતાં 2022માં ભારત ‘ગ્લોબલ બ્રાઈટ સ્પોટ’ રહ્યું છે.
નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન 21મી સદીમાં દેશને એક નવી દિશા આપશે. ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરીના ઉત્પાદન માટે 18,000 કરોડની PLI યોજના રજૂ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં 10 લાખ કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ ગ્રીન હાઇડ્રોજન, સોલાર પાવર અને રોડ સેક્ટરને પ્રોત્સાહિત કરશે.
તુર્કીમાં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ સમયે આપણે બધાની નજર તુર્કીમાં આવેલા ભૂકંપ પર ટકેલી છે. ઘણા લોકોના મોત અને નોંધપાત્ર નુકસાનના અહેવાલ છે. તુર્કીની આસપાસના દેશોમાં નુકસાન થવાની સંભાવના છે. ભારત ભૂકંપ પીડિતોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ પણ હાજર રહ્યા હતા.