ભરૂચમાં નાણાકીય લેવડદેવડમાં પિતરાઇ બહેનની હત્યા બાદ ભાઇએ પણ કરજણ પાસે ઝેરી દવા પીધી
તુલસીધામ શાક માર્કેટ પાસે આવેલી એસએલડી એચેન્ઝા એપાર્ટમેન્ટમાં રહેતાં હિતેષ કરશન જાવીયા દહેજ ખાતે ટ્રેક્ટર એન્ડ સ્પેર પાર્ટ્સની દુકાને ચલાવે છે. તેમની પુત્રી વડોદરા ખાતે સુમન દિપ ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યારે પુત્ર પાર્થ છે તે માનસિક દિવ્યાંગ છે. તેમની પત્ની સાથે તેમને અણબનાવ રહેતો હોઇ એકાદ વર્ષ પહેલાં તેમની પત્ની મનીષા તેમને છોડી ઘરેથી સોના-ચાંદીના દાગીના લઇને વડોદરા જતી રહી હતી. જોકે, બાદમાં તેણે પતિ સામે કોર્ટ કેસ કરી દીધો હતો.
તેના નિભાવ માટે પતિ પાસેથી રૂપિયા ન મળતાં હોઇ વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે રહેતાં મનીષાના મામાના પુત્ર મનીષ ગોકળ ભાલોડિયા પાસેથી રૂપિયા લીધાં હતાં. મનીષાએ તેને સોનાના દાગીના તોડાવા આપતાં તેણે તે રૂપિયા તેના હોટલના ધંધામાં વાપર્યાં હતાં.
બીજી તરફ કોર્ટમાં સમાધાન થઇ જતાં મનીષા ભરૂચ રહેવા આવી ગઇ હતી. મનીષ તેને અવાર નવાર ફોન કરી તેણે ખર્ચેલાં રૂપિયાની માગણી કરતો હતો. જ્યારે મનીષા તેના દાગીનાના રૂપિયા જે તે વાપરી ગયો હતો તેમાંથી તેને રૂપિયા લેવાના થતાં હોવાનું જણાવતી હતી. જેના પગલે તેમની વચ્ચે તણાવ સર્જાયું હતું. દરમિયાનમાં આજે મંગળવારે મનીષ તેના ઘરે આવ્યો હતો. જ્યાં તેણે રૂપિયાની માગણી કરી ઝઘડો કરતાં મામલો ગરમાયો હતો. જેથી તેણે ચપ્પુ વડે તેના પેટમાં ઘા કરી તેની હત્યા કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો.