થોડા સમય અગાઉ પાટડીના જૈનાબાદ ગામે માલધારી સમાજના વાડાઓ સળગાવવાના મુદ્દે ગામમાં તંગદિલી સર્જાઇ હતી. આથી જૈનાબાદ ગામે કોમી એખલાસ ભર્યું વાતાવરણ બની રહે એ માટે જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં દરેક સમાજના મળીને આશરે 150 જેટલા લોકોએ હાજરી આપી.
…પાટડી તાલુકાના જૈનાબાદ ગામે થોડા સમય અગાઉ રાત્રિના અંધારામાં માલધારી સમાજના વાડાઓ સળગાવવાના બનાવો સામે આવ્યા હતા. આથી એ સમયે પણ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ગામમાં તમામ સમાજના આગેવાનો સાથે મીટિંગ ગોઠવી લોક દરબાર યોજવામાં આવ્યો હતો અને ફરીથી દસાડા પોલીસ સ્ટેશનમાં આવતાં જૈનાબાદ ગામે સર ઝુંબેદા બેગમ હાઈસ્કૂલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતની અધ્યક્ષતામાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત તથા દસાડા પો.સબ.ઇન્ચાર્જ એચ.એલ.ઠાકર તથા જૈનાબાદ સ્ટેટ ધનરાજબાપુ સહિત ગામના દરેક સમાજના આશરે 150 જેટલા લોકોએ હાજરી આપી હતી. જૈનાબાદ ગામના આગેવાનો સિકંદર બચુભાઇ કુરેશી તથા સાગર મશરૂભાઈ રબારી તથા માવજી પરમાર ( સરપંચ, જૈનાબાદ ) વગેરે સહિત મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. તેમજ જૈનાબાદ ગામમાં કોમી એખલાસ ભર્યું વાતાવરણ બની રહે તેમજ ગામમાં શાંતિપૂર્વક વાતાવરણ બની રહે અને તમામ સમાજના લોકો હળી મળીને રહે તેમ જણાવ્યું હતું. જૈનાબાદ હાઈસ્કૂલમાં જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત સહિતના પોલીસ સ્ટાફ અને ગામ આગેવાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુ. જૈનાબાદ ગામના લોકોને પોલીસ કોન્સ્ટેબલ રાજુ વણોલે સાયબર અંગે બનતાં ગુનાથી જાગૃતિ કેળવવા સરસ સમજૂતી આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.