શ્રી સ્વામિારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની સ્થાપના ના ૭૫ વર્ષ પૂર્ણ થતાં તા. ૨૨ થી ૨૬ ડિસેમ્બર ૨૦૨૨ સુધી સહજાનંદ નગર , મવડી કણકોટ રોડ, રાજકોટ ખાતે દિવ્ય ભવ્ય અમૃત મહોત્સવ યોજાનાર છે. મહોત્સવ સ્થળ મવડી ચોકડીથી આશરે ૩ કી.મી. દૂર થાય છે. કાલાવડ રોડ તથા ગોંડલ રોડ પરથી પણ જઇ શકાય છે. અમૃત મહોત્સવ ના પ્રારંભ પૂર્વે તા.૧૧ ડિસેમ્બર થી સ્થળ પર દર્શનીય પ્રદર્શન નો પ્રારંભ થશે. આજ સ્થળે તા.૧૪ ડિસેમ્બરે સર્વજ્ઞાતિય સમૂહલગ્ન અને તા.૧૩ ડિસેમ્બરે ૭૫ બટુકોને યગ્નોપવિત ધારણ કરવાનો માંગલિક પ્રસંગ યોજવામાં આવશે. રાજકોટ ગુરુકુલ દ્વારા પ્રથમ વખત વિશાલ ફલક પર યોજાનાર ઐતિહાસિક અમૃત મહોત્સવ માટે સંતોના માર્ગદર્શન હેઠળ હરિભક્તો દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે. ગુરુકુલ સંકુલ અને મહોત્સવ સ્થળ પર અત્યારથી તેમના પડઘમ ગુંજી રહ્યા છે. વધુ માહિતી માટે રાજકોટ ગુરુકુલ, ઠેબર રોડ મો. નં. ૭૨૧૭૨૨૪૧૨૪ ઉપર સંપર્ક સાધી શકાય છે. આ પુનિત ગુરુકુલ ગંગોત્રી આ વર્ષે ૨૦૨૨માં ૭૫ વર્ષ પૂર્ણ કરી અમૃતકાળમાં પ્રવેશી રહી છે. ત્યારે અબાલ વૃધ્ધ સૌ કોઇ ’ અમૃતતત્વ’ ને પ્રાપ્ત કરે એવા ઉમદા ધ્યેયથી રાજકોટ ગુરુકુલ દ્વારા ૨૨ થી ૨૬ ડિસેમ્બર સુધી ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના શુભાશીર્વાદ, ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા સદગુરુ મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુકુલ ગંગોત્રીનો ભવ્યાતિભવ્ય અને દિવ્યતિદિવ્ય “અમૃત મહોત્સવ”ઉજવાશે. ગુરુકુળના અમૃત મહોત્સવ નિમિત્તે અલગ- અલગ દિવસે ખેડૂતમંચ, બાલમંચ, શિક્ષકમંચ, વાલીમંચ, સર્વરોગ નિદાન કેમ્પ, ગુરુકુલમૈયા પૂજન, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, વડીલ મંચ, મહિલા મંચ, ધર્મજીવન એવોર્ડ સમારંભ વગેરે કાર્યક્રમો યોજાનાર છે. મહાઅભિષેક, સત્સંગી જીવન કથા,અન્નકૂટ દર્શન, અખંડ ધૂન,વ્યાખ્યાનમાળા, ૭૫ કુંડી શ્રીધરયાગ, રકતદાન કેમ્પ, શોભાયાત્રા વગેરે નું પણ આયોજન થવા નું છે. સમગ્ર મહોત્સવ ૪૫૦ વીઘા જગ્યામાં યોજાનાર છે. ૧૫થી વધુ ખેડૂતોએ મહોત્સવ માટે સેવાભાવથી પોતાના ખેતરો ઊપયોગ માટે આપ્યા છે. સભા મંડપ, ભોજનાલય, પાર્કિંગ, પ્રદર્શન વગેરે નજીક નજીકની જગ્યામાં રાખેલ છે. પ્રદર્શન સહિત તમામ કાર્યક્રમોનો વિના મૂલ્યે લાભ લઈ શકાશે. મહોત્સવનો સમય તા.૨૨થી ૨૬ ડિસેમ્બર સવારે ૯ થી ૧૨:૩૦ અને સાંજે ૩ થી ૬:૩૦ અને રાત્રે ૮ થી ૧૦:૩૦ રહેશે. સમગ્ર અમૃત મહોત્સવ અવિસ્મરણીય બની રહેશે.