સુપ્રીમ કોર્ટે શુક્રવારે 1998માં વિધવા પર બળાત્કાર અને હત્યાના આરોપમાં એક વ્યક્તિની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. કોર્ટે કહ્યું કે દોષિત લગભગ 10 વર્ષથી એકાંત કારાવાસમાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દોષિતને એકાંતમાં રાખવાથી તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. કોર્ટ બી એ ઉમેશ દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરી રહી હતી, જે 1998માં બેંગલુરુમાં એક વિધવા પર બળાત્કાર અને હત્યામાં સામેલ હતો.
મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચે જણાવ્યું હતું કે, ‘હાલના કેસમાં, અપીલકર્તાને 2006 માં ટ્રાયલ કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજીનો આખરે 12 મે 2013 ના રોજ નિકાલ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે કાયદાની મંજૂરી વિના 2006 થી 2013 સુધી અપીલકર્તાને એકાંત કેદ અને અલગ રાખવા એ આ અદાલત દ્વારા નિર્ધારિત સિદ્ધાંતોની તદ્દન વિરુદ્ધ છે.’
બેન્ચે આગળ કહ્યું, ‘હાલના કેસમાં, એકાંત કેદની અવધિ લગભગ 10 વર્ષ છે અને તેમાં બે ઘટકો છે: પ્રથમ, 2006 થી 2013 માં દયા અરજીના નિકાલ સુધી; અને બીજું, આવા નિકાલની તારીખથી 2016 સુધી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો અપીલકર્તાને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા ઓછી કરવામાં આવે છે તો ન્યાયનું લક્ષ્ય પ્રાપ્ત થશે. ખંડપીઠે કહ્યું, ‘એકાંતમાં કેદ રહેવાથી અપીલકર્તાના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ છે. કેસની આ હકીકતોની પૃષ્ઠભૂમિમાં, અમારા મતે, અપીલકર્તા એ વાતનો હકદાર છે કે એને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવામાં આવે.’
બેન્ચમાં જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ અને જસ્ટિસ પી.એસ. નરસિંહ પણ સામેલ હતા. સર્વોચ્ચ અદાલતે કહ્યું, ‘અમે તેને (અપીલકર્તા)ને આ શરત સાથે આજીવન કેદની સજા આપીએ છીએ કે તેને (આજીવન કેદના સ્વરૂપમાં) ઓછામાં ઓછી 30 વર્ષની સજા ભોગાવવીપડશે અને જો એના તરફથી કોઈ છૂટ માટે કોઈ અરજી કરવામાં આવશે તો 30 વર્ષની કેદ પૂર્ણ કર્યા પછી જ યોગ્યતાના આધારે વિચાર કરવામાં આવશે.’
દોષિતની અપીલનો નિર્ણય લેવામાં વિલંબના કારણો વિશે, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ દરેક અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા લેવામાં આવેલા સમયને ‘અતિશય વિલંબ’ તરીકે ઓળખાવી શકાય નહીં અને બીજી વાત, એવું પણ ન હતું કે દરેક વીતતા દિવસ સાથે અપીલકર્તાની વ્યથા વધી રહી હતી.