અમદાવાદ કુલ 505 વર્ગ કિલોમીટરમાં વિસ્તરેલું છે. વર્ષ 2012માં શહેરનું ગ્રીન કવર 14.66 ટકા હતું. મ્યુનિ.નો લક્ષ્યાંક 15 ટકાનો છે. ગાર્ડન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ અમદાવાદનું ગ્રીન કવર 10થી 12 ટકા છે, પરંતુ કેન્દ્ર સરકારના ફોરેસ્ટ સરવે ઓફ ઇન્ડિયા 2021ના અનુસાર અમદાવાદનું ફોરેસ્ટ કવર વર્ષ 2011ની તુલનાએ 48 ટકા ઘટ્યું છે.
વર્ષ 2011માં ફોરેસ્ટ કવર 17.96 ટકા હતું, જે વર્ષ 2020માં ઘટીને 9.41 ટકા થયું છે. શહેરમાં 0.71 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં મધ્યમ મેન્ગ્રેવનાં અને 25,67 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં ખુલ્લા મેગ્રૂવનાં વૃક્ષો છે. આયુર્વેદિક છોડોની વાત કરીએ તો 3 વર્ષમાં 3 લાખ 75 હજારથી વધુ આયુર્વેદિક છોડનું વિતરણ કરાયું છે. તેમાં તુલસી, અરડુસી, ડમરો, અજમો, ગળો વગેરે જેવા આયુર્વેદિક છોડનો સમાવેશ થાય છે. પૂર્વ ઝોનમાં સૌથી વધુ 1 લાખ 35 લાખથી વધુ આયુર્વેદિક છોડનું વિતરણ કરાયું છે.
અમદાવાદમાં ગ્રીન કવરની વાત કરીએ તો 2017– 18થી 2021-22 સુધી વૃક્ષારોપણમાં 179 ટકાનો વધારો થયો છે. વર્ષ 2017-18માં 70,818 વૃક્ષારોપણ થયાં હતાં, જે વર્ષ 2021-22માં વધીને 12,82,014 થયાં છે. વૃક્ષારોપણ પાછળનાં ખર્ચમાં 2019– 20થી 2021-22માં 116 ટકાનો વધારો થયો છે. મ્યુનિ. ગાર્ડન, સ્કૂલો, નર્સરી, એપ જેવા વિવિધ માધ્યમોથી વૃક્ષારોપણ કરે છે.