જેલમાંથી પેરોલ મળ્યા બાદ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ પોતાનું શક્તિ પ્રદર્શન કરવામાં વ્યસ્ત છે. બળાત્કાર અને હત્યાના દોષિત રામ રહીમ બાગપત આશ્રમથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના અનુયાયીઓને સંદેશ આપશે. કુરુક્ષેત્રના બ્રહ્મસરોવર મેળાના મેદાનમાં કુરુક્ષેત્ર લોકસભાથી હજારોની સંખ્યામાં સંગત એકત્ર થવાનું શરુ થઈ રહ્યું છે.
આ સંગતની એક ખાસ વાત એ છે કે કાર્યક્રમ દરમિયાન કોઈને પણ મોબાઈલ ફોન લઈ જવાની છૂટ નથી. ડેરા સચ્ચા સૌદા ગુરમીત રામ રહીમના સોશિયલ મીડિયા પેજ પરથી લાઈવ થશે અને તે જ લાઈવ પત્રકારોને આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે હરિયાણાની આદમપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે અને તેને લઈને રાજકીય હલચલ વધી ગઈ છે.
માથું નમાવી રહ્યા છે ભાજપના નેતાઓ
જ્યારથી બળાત્કાર અને હત્યાના દોષિત બાબા રામ રહીમ પેરોલ પર બહાર આવ્યા છે ત્યારથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપના નેતાઓ આ બાબા સામે માથું નમાવી રહ્યા છે. પહેલા ભાજપના પૂર્વ મેયર અને હવે હરિયાણાના ડેપ્યુટી સ્પીકર આ બાબાના આશીર્વાદ લેતા જોવા મળ્યા છે. ડેપ્યુટી સ્પીકર રણવીર ગંગવાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ડેરા પ્રમુખ સામે નમતા જોવા મળી રહ્યા છે. આ સાથે તેઓ એમ પણ કહેતા સાંભળી શકાય છે કે જ્યારે પ્રશાસન નિષ્ફળ થઈ જાય છે ત્યારે બાબાજીના આશીર્વાદ કામ આવે છે.
બે મહિલાઓ સાથે બળાત્કાર અને હત્યાના દોષિત રામ રહીમ
કોર્ટે બે મહિલા શિષ્યો પર બળાત્કાર ગુજારવા અને બે હત્યાના કેસમાં દોષિત જાહેર કર્યા છે. રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યા છે. હરિયાણામાં આગામી પંચાયત ચૂંટણીઓ માટે સંભવિત ઉમેદવારો તરીકે પોતાને રજૂ કરનારા કેટલાક લોકો રામ રહીમના સત્સંગની ક્લિપ્સમાં તેમના આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા. ચૂંટણી પહેલા રામ રહીમની પેરોલ પર મુક્તિને લઈને ટીકાનો સામનો કરી રહેલી મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની સરકારે તેમની મુક્તિને માત્ર સંયોગ ગણાવ્યો છે.