અમરેલી જિલ્લામાં એકલા અટુલા રહેતા વૃધ્ધોને ટારગેટ કરી લુંટના ઈરાદે હુમલાઓ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના વધી રહી છે. અગાઉ ખાંભાના સમઢીયાળા, લીલીયાના નાના રાજકોટ, બવાડામાં વૃધ્ધોને ટારગેટ કરીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓ તાજી જ છે અને પોલીસ ગુનાઓ ડીટેકટ કરી શકી નથી ત્યાં ચિતલમાં ગત મધરાતે ત્રાટકેલા લુંટારા તસ્કરોએ વૃઘ્ધ દંપત્તિ પર લોખંડની હથોડી જેવા બોથડ પદાર્થથી હુમલો કરતા રાડારાડ મચી ગઈ હતી. અમરેલી તાલુકાના ચિતલમાં રહેતા નાથાભાઈ લક્ષ્મણભાઈ મેરોલીયા અને તેના પત્ની ચંપાબેન બન્ને એકલા રહે છે, ગઈકાલે રાતે બન્ને સુતા હતા
ત્યારે દિવાલ ટપીને તસ્કરો લુંટારાઓ ઘરમાં ઘુસ્યા હતા તેમજ ભરનિંદ્રામાં સુતેલા બન્ને પર લોખંડની હથોડી જેવા બોથડ પદાર્થથી હુમલો કરતા બન્ને રાડારાડ કરવા લાગ્યા હતા જેના કારણે તસ્કરો નાસી ગયા હતા. આ ઘટનામાં નાથાભાઈના માથામાં હથોડી વાગવાના કારણે તેમને તાત્કાલીક અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા, તેના પત્નીને હાથમાં ફેકચર જેવી ઈજા થઈ છે. અમરેલી જિલ્લામાં એવી પ્રથા છે કે મોટા ભાગના કુટુંબ સુરત હિરાના વ્યવસાયમાં જોડાયેલા હોય છે, ગામડે ખેતી કરવા અને ખેતીનું સંચાલન કરવા વૃઘ્ધો જ રોકાતા હોય છે, આવા વૃઘ્ધો આખરે તસ્કરોના ટારગેટ બની જાય છે. અગાઉ ખાંભાના સમઢીયાળા, લીલીયાના નાના રાજકોટ, બવાડામાં વૃઘ્ધોને ટારગેટ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓ તાજી જ છે, પણ આ ઘટનામાં તસ્કરો કે લુંટારૂઓને પકડવા અમરેલી જિલ્લા પોલીસ હજુ સુધી કશુ જ ઉકાળી શકી નથી,
કોઈ ડીટેકશન થયુ નથી, જયારે બનાવ બને ત્યારે માહિતી પણ છુપાવવા પ્રયોસો કરે છે એક જ વાકય બોલે છે કે તપાસ ચાલુ છે. આ બનાવમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પહેલા તો વાત એ છે કે લુંટારાઓને એવી કેમ ખબર પડી જાય છે કે કોણ કોણ વૃઘ્ધ દંપત્તિ ગામડે એકલા રહે છે અને કોના સંતાનો સુરતમાં રહે છે ? આ મુદે પોલીસે તપાસ આગળ વધારવાની જરૂરત છે. અમરેલી જીલ્લામાં પોલીસ પેટ્રોલીંગમાં વધારો કરી લુંટ કરતી ગેંગને ત્વરીત પકડી કડક કાર્યવાહી કરવાની ધારદાર રજુઆત ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરી છે.