આ પ્રસંગે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, મહિલા શક્તિને સશક્ત કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં મહિલા અને બાળ વિકાસનો વિભાગ શરૂ કરી નવી પહેલ કરી હતી. ઘર સંભાળતી મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર બની પોતાનું જીવન સ્વામાનભેર જીવી શકે તેની ચિંતા આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી મહિલાઓના ઉત્થાન માટે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. સ્વસહાય જૂથોને સરકારે ધિરાણ કરી તેનો વ્યાપ છેવાડના ગામડાની બહેનો સુધી પહોંચે તે માટેના સફળતાપૂર્વક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ મહિલાઓને સપોર્ટ મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં ડેરી ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે તે અભિનંદનને પાત્ર છે. તેમાં બહેનોનો ફાળો મહત્વનો છે. મોટાભાગની દૂધ મંડળી બહેનો ચલાવે છે. આ મંડળીઓને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના ચેક દૂધ ઉદ્યોગ તરફથી આપવામાં આવે છે. આ રીતે બહેનોની શક્તિનો સુંદર ઉપયોગ થઈ રહ્યો છે. બહેનો આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર બની પોતાનું જીવન તો આગળ વધારે સાથે સાથે બાળકોને પણ ભણાવી ગણાવીને સમાજમાં આગળ વધારે એ માટેના પ્રયત્નો સરકાર કરી રહી છે. ત્યારે આપ સૌ સ્વસહાય જૂથના સભ્યો તરીકે સામેલ થઈ કુટુંબ, સમાજ અને ગામનો વિકાસ કરવા માટે એક થયા છો તે અભિનંદનને પાત્ર છે. મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચન બાદ સ્વસહાય જૂથના વિકાસ અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદના વસ્ત્રાલ ઓડિટોરીયમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત રહેલી જનમેદનીએ નિહાળ્યું હતું. સખીમંડળોને પ્રતિકાત્મક સ્વરૂપે મંત્રી અને મહાનુભાવોના હસ્તે કેશ ક્રેડીટ, રીવોલ્વીંગ ફંડના ચેક આપવામાં આવ્યા હતા સાથે લાભાર્થીઓને PMJAY નાં કાર્ડ પણ આપવામાં આવ્યા હતા. આરોગ્ય ખાતા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. વલસાડ સાસંદ ડો.કે.સી.પટેલે જણાવ્યું કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ પહેલા સૌનો સાથ, સૌનો વિકાસનો મંત્ર આપ્યો ત્યાર બાદ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ મંત્ર આપ્યો છે. જેના પર પ્રજાનો વિશ્વાસ બેસ્યો છે અને પ્રજા હિતમાં અનેક વિકાસ કાર્યો પુરજોશમાં ચાલી રહ્યા છે. એકસો વર્ષ પહેલા સ્પેનિસ ફ્લુ (મરકી)ની મહામારી આવી હતી ત્યારે માંદગી કરતા ભૂખમરાના કારણે વધુ મૃત્યુ થયા હતા. પરંતુ હાલમાં કોરોનાકાળ દરમિયાન વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિના લીધે દેશવાસીઓને કોરોનાની રસીકરણ નિઃશૂલ્ક કરાવ્યુ તેમજ દેશના ગરીબોને નિઃશૂલ્ક અનાજ અપાયું હોવાથી કોરોના મહામારીમાં ભૂખમરાના કારણે એક પણ મૃત્યુ થયુ નથી. અનેક પડકારો વચ્ચે પણ આપણા દેશનું અર્થતંત્ર વિશ્વમાં મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવતા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે જણાવ્યું કે, આપણા પ્રધાનમંત્રીશ્રીની દિર્ઘદ્રષ્ટીના કારણે દેશમાં જન જનનો વિકાસ થયો છે. સુશાસન થકી દેશને નવી ઉંચાઈ પર લઈ જઈ છેવાડાના લોકોનો વિકાસ સાધ્યો છે. નારીનું ગૌરવ જળવાઈ રહે તે માટે દરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ સાથે નારી શક્તિનું ઉત્થાન કર્યું છે. વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશસિંહ ઠાકોરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન એ.પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઈ ગરેલ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સની પટેલ, પાલિકાના ચીફ ઓફિસર સંજય સોની સહિત અનેક અધિકારી-પદાધિકારી અને મોટી સંખ્યામાં સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહી હતી.