અટલ બ્રિજનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ બ્રિજને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી રહ્યા છે. રવિવારે એટલી મોટી સંખ્યામાં બ્રિજ જોવા માટે લોકો આવ્યા હતા કે, બે વાર એન્ટ્રીમાં અવરોધ પણ થયો હતો. સંખ્યા વધી જતા લોકોને રોકવા પડ્યા હતા. ત્યારે અટલ બ્રિજ જોવા માટે હવે અમદાવાદીઓને એન્ટ્રી ફી ચૂકવવી પડશે. સૂત્રો પાસેથી મળી રહેલી વિગતો અનુસાર 1 સપ્ટેમ્બરથી આ ફી અમલમાં મુકાશે.
– આ પ્રકારે જુદી જુદી ફી ચૂકવવા રહેજો તૈયાર
અટલ બ્રિજનો નજારો માણવા માટે 12 વર્ષ સુધીના બાળકો માટે 15 રૂપિયા, 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 30 રૂ. તેમજ સિનિયર સિટીઝન માટે 15 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત અટલ બ્રિજમાં જો ગાર્ડનની મુલાકાત લેવી હશે તો ટિકિટના 40 રુપિયા આપવાના રહેશે. દિવ્યાંગો માટે ફી રાખવામાં આવી નથી. સિનિયર સિટીઝન માટે ફૂટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્ક માટે 20 રૂપિયાનો ટિકિટ દર નક્કી કરાયો છે.
– અટલ બ્રિજની આ છે વિશેષતાઓ
1) બ્રીજની કુલ લંબાઈ ૩૦૦ મીટર છે જ્યારે વચ્ચેનો સ્પાન ૧૦૦ મીટર છે.
2) બ્રીજના છેડેના ભાગે પહોળાઈ ૧૦ મીટર તેમજ બ્રીજના વચ્ચેના ભાગે પહોળાઈ ૧૪ મીટર છે.
3) સાબરમતી નદીના લોઅર તથા અપર પ્રોમીનાડ (ફુટપાથ) ઉપરથી બંને બાજુએથી (પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રીજમાં પ્રવેશ કરી શકાશે.
4) ૨૬૦૦ મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત આઈકોનિક બ્રીજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપે છે.
5) બ્રીજના વચ્ચેના ભાગે વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે.
6) વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
7) ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રીજને આગવો લૂક પ્રદાન કરે છે.