અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદે તારાજી સર્જી હતી જેને લઇને ભિલોડા પંથકમાં ભારે નુકસાન થયું છે, જેમાં શામળાજી પંથકમાં દુકાનદારોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. જે ખેડૂતોનો પાક બચી ગયો હતો તેમના પાકમાં હવે રોગ આવતા ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. ખેડૂતોના પાકમાં સફેદ ફૂગ, લીલી અને કાબરી ઇયળનો ઉપદ્રવ વધવાને કારણે પાક નિષ્ફળ થવાની ભીતી સેવાઈ રહી છે.
જિલ્લાના ભિલોડા, મોડાસા, મેઘરજ અને ધનસુરા પંથકમાં ભારે વરસાદ થયો હતો, તેમાંય ખાસ કરીને મેશ્વો જળાશય ઓવરફ્લો થતાં નદી કાંઠાના ખેતરો જળમગ્ન થતાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યુ હતું ત્યારે ચોમાસાની સિઝનમાં ખાસ મગફળી, સોયાબીન, મકાઈ, દિવેલાનું વાવેતર હવે નષ્ટ થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે.
ભિલોડા તાલુકામાં 20 હજાર હેક્ટર જમીનમાં મગફળીનું થયું છે, પણ વરસાદી પાણી ફરી વળતા મગફળી સહિતના પાકોમાં રોગ આવતા પાન પીળા પડી જતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાઈ ગયા છે. ત્યારબાદ મગફળીમાં લીલી અને કાબરી ઈયળોનો ઉપદ્રવ શરૂ થયો છે.